હિંમતનગર સિવિલ સહિત 7 કોવિડ હોસ્પિટલોમાં પ્રતિદિન 11 મેટ્રીક ટન ઓક્સિજનની જરૂરિયાત
કોરોનાની સારવારના બે મુખ્ય ઘટક રેમડેસીવીર અને ઓક્સિજન બંનેની અછત પેદા થઇ છે હિંમતનગર સિવિલ સહિત 7 કોવિડ હોસ્પિટલોમાં પ્રતિદિન 11 મેટ્રીક ટન ઓક્સિજનની જરૂરિયાત રહે છે પરંતુ ઓક્સિજનનો સપ્લાય પણ ‘ ઓક્સિજન ’ પર આવી જતા O2 સપોર્ટ વાળા દર્દીઓ ભગવાન ભરોસે છે તબીબો દ્વારા મેડિકલ ઇમરજન્સી અંગે કલેકટરને લેખીત જાણ પણ કરી છે.જોકે, તંત્ર દ્વારા ઓક્સિજનનો જથ્થો પર્યાપ્ત હોવાનો દાવો કરાઇ રહ્યો છે પરંતુ રેમડેસીવીર ઇન્જેક્શન અને ઓક્સિજન બંને એકબીજાના પૂરક છે બેમાંથી એકની પણ અછત દર્દી માટે ઘાતક પૂરવાર થાય છે.
કોરોના સંક્રમણ જિલ્લામાં પ્રસરી ગયુ છે 400થી વધુ દર્દીઓ ઘેર અથવા સરકારી કે ખાનગી કોવિડ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે. 7 કોવિડ હોસ્પિટલોમાં 200 થી વધુ દર્દી ઓક્સિજન અને રેમડેસીવીર ઇન્જેક્શન સહિતની સારવાર હેઠળ છે હિંમતનગર સિવિલ હોસ્પિટલ, બે સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને ખાનગી કોવિડ હોસ્પિટલોને પ્રતિદિન 11 મેટ્રીક ટન ઓક્સિજનની જરૂરિયાત રહે છે અને એટલા જ પ્રમાણમાં રેમડેસીવીર ઇન્જેક્શનની જરૂરિયાત રહે છે. 12 એપ્રિલે ખાનગી કોવિડ હોસ્પિટલો માટે માત્ર 114 વાયલ આવ્યા હતા બાકીના દર્દીઓના પરીવારજનોને દોડધામ કરવી પડી હતી ત્યારબાદ રેમડેસીવીરનો જથ્થો મળ્યો નથી નોંધનીય છે કે રેમડેસીવીર ઇન્જેક્શન દર્દીને પ્રથમ દિવસે બે અને ત્યારબાદ ચાર દિવસ એક – એક ઇન્જેક્શનની જરૂરિયાત રહે છે.