ખેડબ્રહ્માના ખેડવા જળાશયમાંથી 250 કયુસેક પાણી છોડવામાં આવ્યું
સાબરકાંઠા જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં સર્વત્ર વરસાદ નોધાયો હતો. તો ભારે વરસાદની આગાહી વચ્ચે મધરાતથી સવાર સુધી વરસાદ વરસતા તળાવોમાં નવા નીર આવ્યા હતા. નદીમાં પણ નવા નીર આવ્યા હતા, તો જીલ્લાના જળાશયોમાં પાણીની આવક નોધાઇ હતી.
ખેડબ્રહ્માના ખેડવા જળાશયમાં પાણીની આવક 100 કયુસેક છે. જેમાંથી રૂરલ લેવલ સાચવવા જળાશયનો એક દરવાજો 15 સેમી ખોલી 250 કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેને લઈને ખેડબ્રહ્માના પરોયા, બાસોલ, નવાનાના, રોધરા સહિતના નવ જેટલા નદી કિનારાના ગામોને સતર્ક રહેવા જાણ કરાઈ હતી. ખેડબ્રહ્માની હરણાવ નદીમાં પણ પાણી આવ્યું હતું.
ઇડરમાં વહેલી પરોઢે ત્રણ ઈચ વરસાદ ખાબકતા નગરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. અને વડાલી અને ઇડરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા વેકરી, ભેસકા અને ઘઉંવાવ નદીમાં પાણી આવ્યું હતું. જેને લઈને ગુહાઈમાં ચોમાસામાં પ્રથમ વાર વરસાદીની પાણીની આવક થઇ હતી. જોકે છેલ્લા કેટલાય વર્ષોથી ગુહાઈ જળાશય ભરાયું નથી.