
સાબરકાંઠા અને અરવલ્લીની 7 બેઠક પર 56 ઉમેદવારો માટે 1940578 મતદારો મતદાન કરશે
આજે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની 7 વિધાસનભા બેઠકો પર મતદાન થનાર છે. જેમાં નવા નોંધાયેલા પ્રથમ વખત મતદાન કરનાર મતદારો નિર્ણાયક ભૂમિક ભજવવાના છે. બંને જિલ્લાના 1940578 મતદારો 2384 મતદાન મથક પર સવારે 8 વાગ્યાના સાંજના 5 વાગ્યા સુધી મતદાન કરશે. આ માટે બંને જિલ્લાના પોલિંગ સ્ટાફ સહિત 11288 કર્મચારીઓનો અધિકારીઓનો કાફલો રવાના કરાયો હતો. શાંતિપૂર્ણ મતદાન માટે 6000 સુરક્ષાકર્મીઓનો બંદોબસ્ત ગોઠવ્યો છે.
સાબરકાંઠાની 4 અને અરવલ્લીની 3 વિધાસભા બેડક પર આજે 5 ડિસેમ્બર સોમવારના રોજ ચૂંટણી યોજાશે. આ તમામ સીટો પર મતદારો કોના પર કળશ ઢોળશે તે કળી શકાતું નથી. સાતે-સાત સીટો પર આ વખતે ભાજપ અને કોંગ્રેસની સાથો-સાથ આમ આદમી પાર્ટીએ પણ ઝુકાવ્યું હોવાથી જંગ વધુ રસાકસી ભર્યો બને તેવી શક્યતા સેવાઇ રહી છે. આ સાથે અરવલ્લી જિલ્લા કલેકટર ડો. મીના દ્વારા અચૂક મતદાન કરવા મતદારોને અપીલ કરવામાં આવી છે. સોમવારના રોજ મતદાન થયા પછી ભરેલું નાળિયેર આઠ દિવસ સુધી મતદારોના જીવ અધ્ધર રાખશે, 8 ડિસેમ્બરના રોજ બંને જિલ્લામાં મત ગણતરી યોજાશે. ગત 2017ની ચૂંટણીમાં સાબરકાંઠામાં 4 માંથી 3 ભાજપ અને 1 કોંગ્રેસ, અરવલ્લીમાં તમામ 3 સીટી કોંગ્રેસે જીતી હતી.
સાબરકાંઠાની 4 વિધાનસભાની ચૂંટણીઓ માટે રવિવારે હિંમતનગર સરકારી પોલીટેકનિક કોલેજમાં ચૂંટણીલક્ષી સાહિત્યનું વિતરણ શરુ કરાયું હતું. ચૂંટણી કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓ પોલીટેકનિક કોલેજ પહોંચ્યા હતા. ઇવીએમ ડિસ્પેચિંગ શરૂ કરાયું હતું ઇવીએમ પહોંચાડવા 252 સરકારી બસોમાં બેસી કર્મચારીઓ મતદાન મથક સ્થળે પહોંચી રવાના થયા હતા