પાલનપુર : સરહદી બનાસકાંઠા જિલ્લામાં થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકશાન થયું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. ત્યારે ખેતીવાડી વિભાગે અત્યાર સુધીમાં કોઈપણ ખેડૂતને ત્યાં ૩૩ ટકાથી વધુ નુકસાન જોવા મળ્યું ન હોવાનો દાવો કર્યો છે. દરમિયાન, ખેતીવાડી વિભાગને ૧૨૦૦૦ અરજીઓ મળી છે. જેના આધારે હવે ખેડૂતોના ખેતરમાં સર્વેની કવાયત હાથ ધરાઈ છે.
સરહદી બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાની બુમરાણ ઉઠી છે. જેને લઇને બનાસકાંઠાના ખેતીવાડી વિભાગ અને વીમા કંપનીએ ખેડૂતોનો સર્વે શરૂ કર્યો છે.ગ્રામ્ય લેવલે ગ્રામ સેવકોને આ જવાબદારી સોંપાઈ છે. ત્યારે ખેડૂતોના કોલને આધારે ગ્રામ સેવકો નુકસાનીનો અંદાજ કાઢી રહ્યા છે. પરંતુ હજુસુધી ગ્રામસેવકોને ક્યાંય પણ એટલે કે, કોઈ પણ ખેડૂતના ખેતરમાં ૩૩ ટકાથી વધુ નુકસાન જોવા મળ્યું ન હોવાનો દાવો ખેતીવાડી અધિકારી પ્રકાશ પટેલે કર્યો હતો. જયારે પાક વીમા માટે પણ ખેડૂતોએ લેખિતમાં નુકશાની વળતર અંગેની અરજીઓ કરી છે. અત્યાર સુધીમાં ૧૨ હજાર જેટલી અરજીઓ ખેતીવાડી વિભાગને મળી છે. જોકે, આ અરજી ઓની સ્કૂટીની પ્રક્રિયા બાદ બે દિવસમાં ખેડૂતોના ખેતરમાં નુકસાનીનો સરવે શરૂ કરાશે. ગ્રામ સેવકો સહિત ખેતીવાડી વિભાગની ટીમ વીમા કંપનીના અધિકારીઓને સાથે રાખીને સર્વે કરી ૧૩ તારીખ સુધીમાં આ તમામ સર્વે પૂર્ણ કરાશે અને ખેડૂતોને ઝડપથી વળતર મળે તેવી વ્યવસ્થા ગોઠવાશે તેવું ખેતીવાડી વિભાગ જણાવી રહ્યો છે.