ઓસાકા જી-૨૦ શિખર બેઠકમાં ભાગ લેવા માટે મોદી જાપાન પહોંચી ગયા છે. મોદીએ આજે ભારતીય સમુદાયના લોકોને સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે, આજે દુનિયા ભારતને શક્યતાઓના ગેટવે તરીકે જુએ છે. પોતાની સરકાર ફરી પ્રચંડ બહુમતિ સાથે આવ્યા બાદ આને વાસ્તવિકતાની જીત ગણાવીને કહ્યું હતું કે, ભારતના લોકોએ આ પ્રધાન સેવક ઉપર ફરી વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ૧૯૭૧ બાદ દેશમાં પ્રથમ વખત એક સરકારને પ્રો-ઇન્કમબેંસી જનાદેશ આપ્યો છે. ૬૧ કરોડ લોકોએ ભીષણ ગરમીની વચ્ચે મતદાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચીનને છોડી દેવામાં આવે તો દુનિયાના કોઇપણ દેશની વસતી કરતા વધારે મતદારોની સંખ્યા નોંધાયેલી છે. મોદીએ આ સંબોધન બાદ જયશ્રી રામના નારા પણ લગાવ્યા હતા. આ ઉપરાંત મોટી સંખ્યામાં લોકોએ વંદે માતરમના નારા લગાવ્યા હતા. જાપાનમાં રહેતા ભારતીય સમુદાયના લોકોને સંબોધનમાં તેમણે કહ્યું હતું કે, જાપાનમાં બેસીને પણ ભારતીય લોકો અમારી કામગીરીનું મૂલ્યાંકન કરે છે. ઘણી વખત સ્ટેડિયમમાં બેસીને મેચ નિહાળવામાં આવે છે ત્યારે જાણી શકાય છે કે ભુલ ક્યાં થાય છે. ખેલાડી કઇ રીતે આઉટ થયા છે જેથી જ્યારે દૂર બેસીને મેચ નિહાળીએ છીએ ત્યારે તેમને વધારે માહિતી હોય છે. મોદીએ પોતાની જીતમાં પ્રવાસી ભારતીયોના યોગદાન માટે આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, કેટલાક લોકોએ પોતાના ગામના લોકોને પત્રો મોકલ્યા હતા.