ડીસા : બનાસકાંઠા જિલ્લાની થરાદ અને રાધનપુર વિધાનસભા બેઠકની યોજાનાર પેટાચૂંટણી માટે ભાજપે સરકાર અને સંગઠનમાંથી બે બે ઇન્ચાર્જની નિમણુંક કરતા ભર ચોમાસે રાજકીય માહોલ ગરમાયો છે. થરાદ વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય પરબતભાઇ પટેલ લોકસભાની ચૂંટણી જીતી જતા અને રાધનપુર બેઠકના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાતા આ બંને બેઠકની પેટાચૂંટણી યોજાનાર છે જેને લઈને છેલ્લા ઘણા સમયથી ઉત્તેજના છવાઈ છે જો કે હવે ભાજપે પેટાચૂંટણી જીતવા માટે ઇન્ચાર્જની નિમણુંક કરતા પેટા ચૂંટણી નજીકમાં યોજાનાર હોવાના અણસાર પણ મળી રહ્યા છે. જેમાં ભાજપે થરાદ બેઠક માટે દૂષયન્ત પંડ્યા (સંગઠન) અને કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા (સરકાર)ની ઇન્ચાર્જ તરીકે નિમણુંક કરી છે જ્યારે રાધનપુર બેઠક માટે કે.સી. પટેલ (સંગઠન ) અને મંત્રી દિલીપજી ઠાકોર (સરકાર)ની નિમણૂક કરી છે.
જો કે, આ બંને બેઠકની પેટા ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસે ક્યારનીય કવાયત હાથ ધરી દીધી છે. જેમાં લેવાયેલ સેન્સ મુજબ થરાદ બેઠકમાં કોંગ્રેસના ૭ અને ભાજપના ૩ દાવેદાર છે. એ જ રીતે રાધનપુર બેઠક માટે પણ ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. તેથી ઉમેદવારોને લઈ ઉત્તેજના છવાઈ છે. તેમા પણ પૂર્વ મંત્રી શંકરભાઇ ચૌધરી અને અલ્પેશ ઠાકોર કઈ બેઠક ઉપરથી લડે છે ? તેને લઈને અટકળોનું બજાર ગરમાગરમ બની ગયું છે.