રખેવાળ ન્યુઝ, પાટણ : શિલ્પકળાના બેનમુન સ્થાપત્ય સમી રાણકી વાવને વિશ્વ ધરોહરમાં સ્થાન પ્રાપ્ત થયું છે ત્યારે આ ઐતિહાસિક વિરાસતને ગૌરવ પ્રદાન કરવા આગામી તારીખ ૧૬ તથા ૧૭ ડીસેમ્બરના રોજ સાંજે ૦૬.૩૦ કલાકથી રાણીની વાવ ઉત્સવ ઉજવવામાં આવશે. માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતીમાં સુપ્રસિદ્ધ ગાયકશ્રી હરીહરન, શ્રી જીગ્નેશભાઈ કવિરાજ તથા સુશ્રી ગીતાબેન રબારી સહિતના કલાકારો દ્વારા વિવિધ સંગીત કાર્યક્રમો રજૂ કરવામાં આવશે.ગુજરાતના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા રાજ્ય સરકાર સતત પ્રયત્નબદ્ધ છે. સરકારશ્રી દ્વારા મહેસાણા જીલ્લા ખાતે આયોજીત તાના-રીરી મહોત્સવની જેમ પાટણ ખાતે વિશ્વપ્રસિદ્ધ રાણીની વાવની મહિમા ઉજાગર કરવા રાણીની વાવ ઉત્સવ અંતર્ગત વિરાસત સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.પાટણ ખાતે કનસડા દરવાજા નજીક શેઠશ્રી એમ.એન.હાઈસ્કુલ ખાતે યોજાનારા બે દિવસીય સંગીત સમારોહમાં તા.૧૬ ડીસેમ્બરના રોજ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી,શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોર, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ તથા પ્રભારી મંત્રીશ્રી વાસણભાઈ આહિર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.રાણીની વાવ ઉત્સવ પ્રસંગે મહામૂલી વિરાસત અને વિશ્વ ધરોહર રાણીની વાવને રોશની દ્વારા સુશોભિત કરવામાં આવશે. તા. ૧૬ અને ૧૭ ડીસેમ્બરના રોજ ભવ્ય રોશની દ્વારા સુશોભિત કરવામાં આવેલી રાણીની વાવ નિહાળવા આવનાર મુલાકાતીઓને ઉત્સવના સમયગાળા દરમ્યાન નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. શેઠ એમ.એન. હાઈસ્કુલ ખાતે સંગીત સમારોહ માણવા આવનાર નાગરીકો માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા બેઠક વ્યવસ્થા, પાર્કગની સુવિધા, પીવાના પાણીની સુવિધા સહિતની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી ૧૦૮ એમ્બ્યુલન્સ તથા ચાર જેટલી મેડીકલ ટીમ પણ સ્થળ પર હાજર રહેશે. વિશ્વ વિરાસત રાણીની વાવને નવાજવા આયોજીત કળા અને સંસ્કૃતિના સમન્વય સમા વિરાસત સંગીત સમારોહમાં પધારવા જિલ્લાના તમામ નાગરીકોને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.