ચાણસ્મા
બહુચરાજી અને ચાણસ્મા પંથકમાં ચાલુ સાલે નહીવત વરસાદને કારણે સુકા દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે. આ વિસ્તારનો ખેડુત ચોમાસુ અને રવિપાકની સિંચાઈ માટે નર્મદા કેનાલમાંથી પાણી આપવા માગણી કરી રહ્યો હોવા છતાં હજુ સુધી આ વિસ્તારની મોટાભાગની માઈનોર કેનાલો સુધી પાણી પહોંચ્યું નથી. સરકારે એકાદ સપ્તાહ પહેલાં મુખ્ય કેનાલમાંથી પાણી છોડવાની જાહેરાત કરી હતી. પરંતુ ખેડુતોના ખેતર સુધી પાણી પહોંચે તે પહેલાં ગઈકાલથી પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવતા આ પંથકના ખેડુતોના તંત્ર પ્રત્યે લાલઘુમ છે અને સત્વરે પાણી છોડવામાં ન આવે તો ખેડુતો દ્વારા સરકાર સામે બાંયો ચડાવી ઉગ્ર લડત આપવામાં મૂડમાં છે.
મોઢેરાથી મુખ્ય કેનાલ પસાર થાય છે અને આ કેનાલમાંથી ચાણસ્મા તેમજ બહુચરાજી તાલુકામાં પ્રવેશ કરતી માઈનોર પેટા કેનાલોમાં પાણી છોડવાની સિંચાઈ મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. જેને પગલે મુખ્ય કેનાલમાં પાણી તો છોડવામાં આવ્યું. પરંતુ બહુચરાજી તાલુકાના શંખલપુર, ડોડીવાડા, સાપાવાડા, વેણપુરા, સુરપુરા, ચંદ્રોડા, કાલરી, ખાંભેલ સહિતના રપ જેટલા ગામોમાં હજુ સુધી સિંચાઈ માટે પાણી પહોંચ્યું નથી. આ વિસ્તારમાં સિંચાઈ માટે નર્મદાનું પાણી મળે તે માટે ખેડુતોએ પોતાની મોંઘી જમીન મુખ્ય કેનાલ અને પેટા કેનાલો માટે આપી પરંતુ પાણી મળવાની આશા ઉપર પાણી ફરી વળ્યું છે. એકબાજુ વરસાદની અછત બીજી બાજુ પીવાના પાણી અને ઘાસચારાની સમસ્યા આ વિસ્તારમાં ગંભીર બનતી જાય છે. સરકારે તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યો છે.
ત્યારે આ વિસ્તારને નર્મદાનું પાણી ન આપવાના કારણે ખેડુતોની ચિંતામાં બમણો વધારો થયો છે. જે જગ્યાએ કેનાલ, માઈનોર કેનાલ શરૂ થાય છે તે જગ્યાએ આગળના ખેડુતોની જમીનમાં પાણીનો લાભ મળે છે. બીજી બાજુ છેવાડાના ખેતરોમાં પાણી આપવામાં તંત્ર સદંતર નિષ્ફળ ગયું છે. કેટલીક જગ્યાએ માથાભારે ખેડુતો મુખ્ય પેટા કેનાલોમાં બિનઅધિકૃત પાણી જાડાણ મેળવી ખુલ્લેઆમ પાણી ચોરી કરતા કોઈ પાણી છેવાડાના ખેડુત સુધી પહોંચતું નથી. ત્યારે પાણીના ગેરકાયદે ચોરી કરનાર ખેડુતો વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. પાણી મેળવવાના પ્રશ્ને કેટલાક ગામોએ ખેડુતોએ અંદરોઅંદરના ઘર્ષણના બનાવો પણ બની રહ્યા છે.
આ વિસ્તારમાં પાતાળકૂવાના ટાંચા સાધનો હોવા છતાં ખેતી માટે નર્મદાનું પાણી એકમાત્ર મુખ્ય આધાર છે.
હવે રવિ સિઝન માટે પાકના વાવેતરનું કામ આરંભી દીધું છે. ેતેવા સંજાગોમાં પાણી બંધ કરવાનો તંત્રનો નિર્ણય આ વિસ્તારના ખેડુતો માટે ઘાતક પુરવાર થઈ શકે છે. ત્યારે સત્વરે કેનાલોમાં પાણી છોડવામાં આવે તેવી માંગણી છે.