અયોધ્યા : સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ અયોધ્યામાં રામમંદિરના નિર્માણનો રસ્તો સાફ થઇ ગયો છે અને મંદિર નિર્માણની ચર્ચાઓ સામાન્ય લોકોમાં શરૂ થઇ ગઇ છે. સમગ્ર ઘટનાક્રમ ઉપર નજર રાખી રહેલા લોકોનું કહેવું છે કે, આગામી વર્ષે બીજી એપ્રિલના દિવસે ભગવાન રામના જન્મદિવસે રામ નવમીના પ્રસંગે એક ખાસ કાર્યક્રમમાં ભવ્ય રામ મંદિરના નિર્માણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી શકે છે. આ મામલે પ્રાથમિકરીતે હિલચાલ ચાલી રહી છે. અયોધ્યા ચુકાદા બાદ મંદિર નિર્માણ આડેની અન્ય અડચણો દૂર કરવાની શરૂઆત થઇ ચુકી છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જ અયોધ્યામાં મંદિર નિર્માણની દિશામાં આગળ વધવામાં આવશે. આના માટે કેન્દ્ર સરકાર ટ્રસ્ટની રચના કરશે. રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ સોમનાથ ટ્રસ્ટ, અમરનાથ ટ્રસ્ટ અથવા માતા વૈષ્ણોદેવી ટ્રસ્ટની જેમ જ આગળ વધશે. આ ટ્રસ્ટના સભ્ય તરીકે કેન્દ્ર અને ઉત્તરપ્રદેશ સરકારના અધિકારીઓ અને ધાર્મિક નેતાઓને બનાવવામાં આવી શકે છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ટ્રસ્ટના સભ્ય તરીકે રહેશે નહીં પરંતુ પ્રતિનિધિની નિમણૂંક કરી શકે છે. આ મામલા સાથે જાડાયેલા લોકોએ કહ્યુ છે કે રામ મંદિરના નિર્માણ માટે ટાઇમલાઇન સુપ્રીમ કોર્ટના નવમી નવેમ્બરના આદેશ મુજબ જ રહેનાર છે.