કરનાલ જિલ્લાના પડોશી રાજ્ય ઉત્તર પ્રદેશના મંગલૌરામાં આવેલા ગોવિંદ ધામ મંદિરમાં બદમાશોએ હુમલો કરીને બે પુજારીની હત્યા કરી દીધી હતી. જ્યારે 3 પૂજારીઓ ગંભીર રીતે ઘાયલ હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે દરેક પૂજારીઓની જીભ કાપી દેવામાં આવી હતી અને તેમને દોરડાંથી બાંધી દેવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો હતો અને હવે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
ઘટનાની જાણ રવિવારે સવારે સાત વાગે ત્યારે થઈ જ્યારે ગામનો એક પરિવાર મંદિરથી ખેતર તરફ જઈ રહ્યા હતા.
પરિવારની મહિલાઓ અને વૃદ્ધો મંદિરમાં દર્શન કરવા ગયા તો બહાર તાળું લગાવેલું હતું. અંદર નજર કરીને જોયું તો કોઈનો કણસવાનો અવાજ આવતો હતો.
પરિવારે ગામની આજુ-બાજુના લોકોને વાત કરીને પછી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
મંદિરની અંદરનું દ્રશ્ય ભયાનક હતું. પાંચેય પૂજારીઓને દોરડાથી બાંધેલા હતા. તેમાંથી બેનાં મોત થઈ ગયાં હતાં અને ત્રણના મોઢામાંથી લોહી નીકળતું હતું.
ગામના લોકોએ જણાવ્યું કે, હત્યારાઓએ તેમની જીભ કાપી નાખી હતી. મંદિરનું દાન પાત્ર પણ તૂટેલું હતું. તે ઉપરાંત મંદિરમાંથી દારૂની બોટલો નો ઉપયોગ કરેલી મળી આવી છે.
પોલીસે જણાવ્યું કે, રવીન્દ્ર શર્મા, અજય શર્મા અને હરજિંદર ગંભીર રીતે ઘાયલ થયા છે. જ્યારે 32 વર્ષના વિનોદ અને 60 વર્ષના સુલ્તાનનું મૃત્યુ થયું છે. વિનોદ કૈથલના બદનારા ગામનો છે. જ્યારે સુલ્તાન રાતના સમયે મંદિરમાં રહેતો હતો અને દિવસે આજુ-બાજુના ખેતરમાં કામ કરતો હતો.
આ વિશે તપાસ અધિકારીઓએ જણાવ્યું કે, જ્યારે મંદિરનું નિરિક્ષણ કરવામાં આવ્યું તો મંદિરમાં પથારી ઉપરથી પોલીસને એક દારૂની બોટલ અને અમુક વાંધાજનક વસ્તુઓ મળી આવી છે.
હાલ પોલીસે ડોગ સ્ક્વોડ અને એફએસએલની ટીમ બોલાવીને તપાસ શરૂ કરી છે. એસપી સુરેન્દ્ર સિંહ ભૌરિયાએ ઘટના સ્થળની મુલાકાત કરી લીધી છે. એસપીનું કહેવું છે કે, દરેક મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે.