જિલ્લાના લાખણીના કુંડા ગામ ખાતે સામૂહિક હત્યાકાંડ મામલે પરિવારના મોભી એવા કરસન પટેલનું પણ સારવાર દરમિયાન મોત થયું છે. આ મામલે મોતનો આંકડો પાંચ પર પહોંચ્યો છે. હત્યા માટે કયા કારણ જવાબદાર છે તે અંગે પોલીસ હાલ તપાસ ચલાવી રહી છે ત્યારે જ પરિવારના મોભીનું મોત થતાં પોલીસ તપાસમાં વિઘ્નો આવવાની શક્યતા છે.
ગત અઠવાડિયે બનાસકાંઠાના લાખણીના કુંડા ગામે એક પિતાએ પત્ની અને ત્રણ સંતાનોની હત્યા કરી પોતે પણ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ હત્યાકાંડ વ્યાજખોરોના ત્રાસને કારણે થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
બનાવ બાદ મૃતકોના સંબંધીઓએ મૃતદેહ સ્વીકારવામો ઇન્કાર કરી દેતા આ મામલે પોલીસ તરફથી વ્યાજખોરોનો ઝડપી લેવાની ખાતરી આપવામાં આવી હતી. બનાવની વિગતો જોઈએ તો ચૌધરી પટેલ પરિવારના પાંચ સભ્યોમાંથી 4 લોકોની હત્યા કરવામાં આવી હતી. રાત્રીના સમયે બનેલી ઘટનામાં પરિવારના મોભી એવા કરસનભાઈ ચૌધરીના ચાર સભ્યોની ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી.