પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવતીકાલ(8 સપ્ટેમ્બર)થી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થશે. જેને પગલે અંબાજીમાં આજથી જ મેળો શરૂ થઈ ગયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. અંબાજી મેળાના આગલા દિવસે જ શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે અને અંબાજી મંદિરમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. તેની સાથે સાથે રાજ્ય અને કેન્દ્ર સરકારના સ્વચ્છતા અભિયાન અને પ્લાસ્ટિક મુક્ત અભિયાનને પણ આગળ ધપાવવા યાત્રિકોમાં જાગૃતિ જોવા મળી રહી છે.
અંબાજી મંદિર પરિસર બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગુંજવા લાગ્યું છે, જ્યારે અમદાવાદથી નીકળેલો વ્યાસવાડીનો સંઘ પણ અંબાજી ખાતે આવી પહોંચ્યો હતો છે. તેમજ મેળાના આગલા દિવસે માતાજીને 52 ગજની ધજા ચઢાવી જયઘોષ કર્યો હતો. વ્યાસવાડી સંઘે જણાવ્યું કે, ભાદરવી પૂનમના મેળાના દિવસે ભીડથી બચવા અને બાળકો સહીત મહીલાઓ શાંતિથી દર્શન કરી શકે તે માટે વહેલા સંઘ લાવી પહેલી ધજા ચઢાવવામાં આવે છે. આ વખતે 25 વર્ષ પૂર્ણ કર્યા છે.