અરવલ્લી : અરવલ્લી જિલ્લામાં પણ નમામિ દેવી નર્મદે મહોત્સવ ૨૦૧૯ની ઉજવણી અંતર્ગત જિલ્લામાં ૩૨ સ્થળોએ નદી-તળાવોની આરતી સહ જળપૂજન સાથે શ્રીફળ પધરાવીને કરવામાં આવી હતું.
જેમાં મોડાસા હાઈસ્કૂલમાં પ્રભારી મંત્રી રમણલાલ પાટકર,જિલ્લા ભાજપ પ્રમુખ રણવીસિંહ ડાભી,મહામંત્રી શામળભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાના નીરથી ૧૩૮.૮૬ મીટરની મહત્તમ સપાટીએ પહેલીવાર સરદાર સરોવર ભરાયો એની ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. રેલી સ્વરૂપે મંત્રીશ્રી અને હોદ્દેદારો, કાર્યકરો ઓધારી તળાવે જઈને આરતી, જળપૂજન કરીને શ્રીફળ પધરાવવામાં આવ્યું હતું અને સ્વચ્છતા માટે અને પ્લાસ્ટિકને તિલાંજલિ આપવા માટે ઉપસ્થિત સૌએ સામુહિક સંકલ્પ કર્યા હતા.
તે પછી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તેમના જન્મ દિવસ નિમિત્તે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં તમામ દર્દીઓને ફળફળાદીનું વિતરણ પ્રભારી મંત્રીશ્રીના હસ્તે કરીને ખાસ વડાપ્રધાનને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
આ ઉપરાંત તાલુકા હેલ્થ કચેરીએ આયુષ્યમાન અને માં અમૃતમ કાર્ડનું તમામ લાભાર્થીઓને પ્રભારી મંત્રી રમણલાલ પાટકરના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતુ. આજે ૩૦ જિલ્લા પંચાયત બેઠકો અને બે શહેરોમાં મળી ૩૨ સ્થળોએ નમામિ દેવી નર્મદે મહોત્સવની ઉજવણી જિલ્લા વહીવટી તંત્ર અને પદાધિકારીઓ, કાર્યકરોની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ હતી.