રિઝર્વ બેન્કના ગવર્નર ઉર્જિત પટેલે રાજીનામુ આપ્યું છે. તેમણે તેનું કારણ વ્યક્તિગત હોવાનું જણાવ્યું છે. છેલ્લા થોડા મહીનાઓથી સરકાર અને RBIની વચ્ચે ઘણાં મુદ્દાઓ પર વિવાદ ચાલી રહ્યો હતો. સરકારે આરબીઆઈ એક્ટની કલમ 7નો પણ ઉપયોગ કર્યો હતો. જોકે પછીથી વિવાદ ખત્મ થઈ ગયો હોવાના સમાચાર આવ્યા હતા. 19 નવેમ્બરે આરબીઆઈના બોર્ડની બેઠકમાં વિવાદોના કેટલાક મુદ્દાઓ પર સહમતિ થઈ હતી. બાદમાં એવી શંકાનો અંત આવ્યો હતો કે ઉર્જિત પટેલ રાજીનામુ આપશે. જોકે સોમવારે અચાનક જ તેમણે રાજીનામુ આપ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉર્જિત પટેલના કાર્યકાળની પ્રશંસા કરતા કહ્યું કે તેમના નેતૃત્વમાં આરબીઆઈએ સારું કામ કર્યું હતું. નાણાં મંત્રી અરૂણ જેટલીએ તેમને ભવિષ્યની શુભકામનાઓ આપતા જણાવ્યું હતું કે તેમની સાથે કામ કરવાનો અનુભવ સારો રહ્યો.
4 સપ્ટેમ્બર 2016એ ઉર્જિત પટેલે આરબીઆઈ ગવર્નરનું પંદ સંભાળ્યું હતું. તેમનો કાર્યકાળ સપ્ટેમ્બર 2019 સુધીનો હતો. જોકે તેમણે 9 મહીના પહેલા જ રાજીનામુ આપ્યું. પટેલે કહ્યું કે હું વ્યક્તિગત કારણોથી આરબીઆઈનું પદ છોડી રહ્યો છું. તે તાત્કાલિક ધોરણથી લાગુ માનવામાં આવે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની સાથે કામ કરવું તે મારા માટે સમ્માનની વાત છે. હું રિઝર્વ બેન્કના મારા તમામ સહકર્મચારીઓ અને બોર્ડ ડાયરેક્ટર્સને અભિનંદન આપું છું અને તેમને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવું છું.
સરકારે સપ્ટેમ્બર મહીનામાં પ્રથમવાર આરબીઆઈ એક્ટની કલમ 7ને લાગુ કરી હતી. ધારા 7 અંતર્ગત સરકાર આરબીઆઈને આદેશ કરી શકે છે. સરકારે આ અંતર્ગત રિઝર્વ બેન્કને ત્રણ પત્ર મોકલ્યા હતા. જોકે અગાઉ એમ માનવામાં આવી રહ્યું હતું કે કલમ 7નો એક હિસ્સો લાગુ કરવાના કારણે ઉર્જિત પટેલ કયારે પણ રાજીનામુ આપી શકે છે.
બે વર્ષમાં આ બીજો એવો કિસ્સો છે, જયારે આરબીઆઈ ગવર્નરે સરકાર સાથેના વિવાદ બાદ પદ છોડયું છે. અગાઉ રધુરામ રાજને જૂન 2016માં ગવર્નરનું પદ છોડવાની જાહેરાત કરી હતી. જોકે તેમણે કાર્યકાળ પુરો થયા બાદ પદ છોડ્યું હતું. મોદી સરકાર અને રધુરામ રાજનની વચ્ચે વ્યાજ દરો અને રાજનના નિવેદનોને લઈને અણબનાવ રહ્યો હતો.