ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ફરી એકવાર નિષ્ફળ પુરવાર થયા છે. ગુજરાતની શાળાઓમાં નવરાત્રિ વેકેશન મામલે ગત વર્ષની માફક આ વર્ષે પણ વિવાદ થયો છે. જેમાં માધ્યમિક શિક્ષણ બોર્ડે આજે જ શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરીને નવરાત્રિ વેકેશનને લઈ આઠ દિવસની રજાઓ જાહેર કરી હતી. તો બીજી બાજુ શિક્ષણમંત્રીએ માત્ર એક કલાકમાં જ આ નિર્ણયને રદ કરતા નવરાત્રિ વેકેશન રદ કરવાની જાહેરાત કરી હતી. આમ શિક્ષણમંત્રી ફરીવાર કેટલાક ચોક્કસ શાળા સંચાલકોના દબાણ હેઠળ આવી કેબિનેટની બેઠકમાં નવરાત્રિ વેકેશન રદ કરવાની જાહેરાત કરી હોવાની ચર્ચા ચાલી રહી છે.
હિન્દુઓના સૌથી મોટા તહેવાર નવરાત્રિના મામલે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છેલ્લા બે વર્ષથી વિવાદમાં આવે છે, ગત વર્ષે પણ નવરાત્રિ વેકેશન જાહેર કર્યાં બાદ કેટલીક લઘુમતી અને સ્વનિર્ભર શાળાઓના સંચાલકોના દબાણ હેઠળ શિક્ષણમંત્રીએ ગયા વર્ષે નવરાત્રિનું વેકેશન જાહેર કર્યા બાદ રદ કરી દીધું હતું. તે જ પ્રમાણે ચાલુ વર્ષે પણ કેટલાંક ચોક્કસ શાળા સંચાલકોના દબાણ હેઠળ શિક્ષણમંત્રીએ નવરાત્રિ વેકેશન રદ કરી દીધું છે, જેની સામે વાલી-વિદ્યાર્થીઓ અને હિન્દુ સંગઠનોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.
રાજ્યની સરકારી તથા ખાનગી પ્રાથમિક શાળાઓ ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ઉપરાંત યુનિવર્સિટીઓ અને કોલેજોમાં પણ ચાલુ શૈક્ષણિક કેલેન્ડર વર્ષમાં નવરાત્રિ વેકેશન આપવા અગાઉના નિર્ણયમાં પુનઃ વિચાર કરવા મળેલી અનેક રજૂઆતોના પગલે ચાલુ શૈક્ષણિક કેલેન્ડર વર્ષમાં નવરાત્રિ વેકેશન આપવાનો નિર્ણય રાજ્ય સરકારે રદ કર્યો છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અઘ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં વિચાર-વિમર્શ બાદ નવરાત્રિ વેકેશન રદ કરવાનો નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારનો આ નિર્ણય રાજ્યની તમામ સરકારી, ખાનગી, પ્રાથમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા રાજ્યની કોલેજોને પણ લાગુ પડશે.