વાવ તાલુકાના સરહદી ગામ કુંડાળીયામાં ગત મોડી સાંજે વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેમાં માલધારીઓના વાડામાં વિજળી પડતાં અંદાજે દોઢસોથી પણ વધુ ઘેટા - બકરાના ઘટના સ્થળે મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
વાવના કુંડાળીયા ગામે ગત મોડી સાંજ ભારે વરસાદ શરૂ થયો હતો. જેમાં ગામના રબારી વાઘાભાઈ સેધાભાઈ, રબારી ચોથાભાઈ સેધાભાઈ, રબારી ભીખાભાઈ મઘાભાઈ, રબારી મેઘરાજભાઈ ડામરાભાઈ, રબારી ગોદાભાઈ ઠાકરસીભાઈ, રબારી ચોથાભાઈ વરજંગભાઈ સહિત માલધારીઓના વાડામાં પશુધન હતા. તેવા સમયે આકાશમાંથી એકાએક વીજળી ત્રાટકતા એક સામટા દોઢસોથી પણ વધુ સંખ્યામાં ઘેટા બકરાના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. પશુપાલન કરીને ગુજરાન ચલાવતા માલધારી પરિવારોની હાલત દયનીય બની જવા પામી છે. ત્યારે સરકાર દ્વારા આ માલધારી પરિવારોને યોગ્ય સહાય મળે તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું.