સુરતઃ દેશમાં વધી રહેલી મોબ લિંચિંગના વિરોધમાં એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. હઝરત ખ્વાજા દાના દરગાહથી કલેકટર કચેરી,અઠવા લાઈન્સ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ પોલીસ દ્વારા માત્ર મક્કાઈ પૂલ સુધીની જ પરવાનગી આપવામાં આવી હતી. તેમ છતાં રેલી ત્યાંથી આગળ વધવા માંગતી હતી. જેથી કાદરશાની નાળ પાસે પોલીસ અને રેલીમાં આવેલા લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસ પર ટોળાએ પથ્થર મારો કરતા પોલીસે સ્વ બચાવમાં ટીયરગેસના સેલ છોડતા ટોળુ વિખેરાયું હતું. આ દરમિયાન બસમાં પણ તોડફોડ કરવામાં આવી હતી.
ઘર્ષણ અંગેની જાણ થતાં જ પોલીસના ઉચ્ચઅધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. પોલીસના અધિકારીઓ દ્વારા સમગ્ર ઘટના પર કાબૂ મેળવીને કોઈ કાંકરીચાળો ન થાય તે માટે પોલીસનો ભારે કાફલો હાલ ઘટના સ્થળ પર ગોઠવી દેવામાં આવ્યો છે.
રેલીને અટકાવાતાં જ ઉશ્કેરાયેલા ટોળા દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. સાથે સાથે લોકોએ બે સિટીબસના કાચ તોડ્યાં હાતં. મામલો તંગ થતાં પોલીસ દ્વારા હુમલાખોરોની અટકાયત પણ કરવામાં આવી છે.
વર્સેટાઈલ માઈનોરિટી ફોરમ-સુરતના નેજા હેઠળ (મુસ્લિમ સમાજ) દ્વારા મોબ લિંચિંગના વિરોધમાં રેલી યોજવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતાં. આ લોકોની માંગ હતી કે, મોબ લિંચિંગની ઘટનાઓમાં સામેલ ગુનેગારોને કડકમાં કડક સજા કરવામાં આવે અને તેવા કાયદા બનાવવામાં આવે.
સમગ્ર વિસ્તારમાં મુસ્લિમ વસતિ વધુ હોવાથી અને પોલીસ સાથે ઘર્ષણ સર્જાયા બાદ હાલ મામલો થાળે પડ્યો છે. જો કે, સમગ્ર મુદ્દાની ગંભીરતાને પગલે પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. સમગ્ર રાત્રિ દરમિયાન પણ પેટ્રોલિંગ દ્વારા કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.