બીસીસીએલ કર્મચારી શિવચરણને નશો કરવા પર પત્નીનો વિરોધ ગમ્યો નહીં. તેણે લોખંડના સળિયાથી પત્ની લલિતા પર હુમલો કરી દીધો. લલિતાનું મોત થઈ ગયું. પતિએ પત્નીની લાશ એક રૂમમાં બંધ કરી દીધી. ત્રણ દિવસ સુધી તે શબની સાથે રહ્યો. આ દરમિયાન તેણે પોતાની 10 વર્ષીય દીકરીને માતાથી અલગ રાખી. ન તો કોઈને ઘરે આવવા દીધા અને ન તો તે પોતે ઘરની બહાર ગયો. હત્યાનું રહસ્ય બુધવારે ત્યારે ખૂલ્યું, જ્યારે દીકરી પોતાની માતાને મળવા જીદ કરવા લાગી. પિતા દ્વારા સમજાવવા છતાંય તે ન માની. દીકરીની બૂમો સાંભળીને પડોશમાં રહેતા લોકો ભેગા થઈ ગયા. દીકરીએ જ્યારે માતા સાથે ન મળવા દેવાની વાત જણાવી તો લોકોને શંકા ગઈ. લોકો બળપ્રયોગ કરી ઘરમાં ઘૂસ્યા. દરવાજો ખોલતાં જ દરેક વ્યક્તિ બે ડગલાં દૂર જઈને ઊભી રહી ગઈ. રૂમમાં લલિતાની લોહીથી ખરડાયેલી લાશ પડી હતી, તેની પર માખીઓ બેઠી હતી. જાણ થતાં જ તેતુલમારી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી.
માની મોતથી તેની દીકરી ખૂબ આઘાતમાં છે. તેની રડી રડીને ખરાબ હાલત થઈ છે. તેણે કહ્યું કે, પિતા હંમેશા મા સાથે લડતાં હતા. તે દારૂ પીતા હતા તે માને બિલકુલ પસંદ નહોતું. મા વિરોધ કરતી તો પિતા તેની સાથે મારઝૂડ કરતા હતા. તેથી મા મોટેભાગે પિયરમાં જ રહેતી હતી. મૃતકાનું પિયર બિહારના ઔરંગાબાદમાં છે.
પોલીસે જણાવ્યું કે, ત્રણ દિવસ પહેલાં જ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. શક્યતા છે કે ત્યારે જ પતિ શિવચરણે લોખંડના સળિયાથી મહિલાના માથા પર હુમલો કર્યો હતો. મહિલાનું સ્થળ પર જ મોત થઈ ગયું હતું. હત્યા કર્યા પછી તેણે દીકરીને તે રૂમમાં ન જવા દીધી જ્યાં લલિતાની લાશ હતી. દીકરી વારંવાર મા વિશે પૂછતી ત્યારે પિતા તેને માની તબિયત ખરાબ હોવાની અને તેને હોસ્પિટલમાં દાખલ કર્યા હોવાની વાત કરતો હતો.