પૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલીના અંતિમ સંસ્કાર આજે બપોર બાદ નિગમબોધ ઘાટ પર કરવામાં આવશે. જેટલીનો પાર્થિવ દેહ તેમના ઘરે રાખવામાં આવ્યો છે. સવારે 10 વાગ્યા પછી તેને અંતિમ દર્શન માટે ભાજપના કાર્યાલયમાં લઈ જવામાં આવશે. જેટલીએ શનિવારે બપોરે 12 વાગીને 7 મિનિટે દિલ્હી એમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 66 વર્ષના હતા. કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી ચૂકેલા જેટલીને કેન્સર થઈ ગયું હતું. તેમને લાઈફ સ્પોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા.
શનિવારે જેટલીના ઘરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, અમિત શાહ, રાજનાથ સિંહ, નિર્મલા સીતારમણ, લાલકૃષ્ણ આડવાણી, મનમોહન સિંહ, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, મિલિંદ દેવડા, જેપી નડ્ડા, રામવિલાસ પાસવાન, ચિરાગ પાસવાન, પ્રકાશ જાવડેકર, અરવિંદ કેજરીવાલ, યોગી આદિત્યનાથ, નવીન પટનાયક, જયોતિરાદિત્ય સિંઘિયા, વિજેન્દ્ર ગુપ્તા, શાજિયા ઈલ્મી, શાહનવાઝ હુસેન, મનોજ તિવારી, ગોતમ ગંભીર, એસ જયશંકર, ડો.હર્ષવર્ધન સહિત ઘણાં નેતાઓ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બહરીનના પ્રવસે છે. મોદીએ જેટલીની પત્ની અને તેમના પુત્ર સાથે ફોન પર વાત કરી. બંનેએ મોદીને તેમનો વિદેશ પ્રવાસ રદ ન કરવાની અપીલ કરી. બાદમાં મોદી બહરીનમાં ભારતીયોને સંબોધિત કરત અરુણ જેટલીને યાદ કરીને ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે હું એક દર્દને દબાવીને તમારી વચ્ચે ઉભો છું. વિદ્યાર્થી જીવનથી લઈને જાહેર જીવનમાં અમે સાથે રહ્યા. દરેક સમયમાં એક-બીજાની સાથે રહેવું, સાથે મળીને સંઘર્ષ કરવો. જે મિત્ર સાથે આ બધો સમય વીતાવ્યો તેણે આજે દેશ છોડી દીધો. કલ્પના કરી શકું તેમ નથી કે આટલો દૂર છું અને મારા એક મિત્ર ચાલ્યો ગયો. ખુબ જ દુ:ખનો સમય છે. પરંતુ હું એક તરફ કર્તવ્ય અને બીજી તરફ દોસ્તીની ભાવનાથી ભરેલો છું. હું મિત્ર અરુણને બેહરીનની ધરતી પરથી શ્રદ્ધાંજલિ આપું છું. ઈશ્વર તેમના પરિવારને શક્તિ આપે.
શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ જેટલી 9 ઓગસ્ટે એમ્સમાં દાખલ થયા હતા. જેટલીની સોફ્ટ ટિશ્યુ કેન્સરની સારવાર ચાલી રહી હતી. તેની સારવાર માટે તેઓ 13 જાન્યુઆરીએ ન્યુયોર્ક ગયા હતા અને ફેબ્રુઆરીમાં પરત આવી ગયા હતા. જેટલીએ અમેરિકામાં સારવાર કરાવીને પરત આવ્યા બાદ ટ્વિટ કર્યું હતું કે ઘરે આવીને ખુશ છું. તેમણે એપ્રિલ 2018થી ઓફિસે જવાનુ બંધ કર્યું હતું. 14 મે 2018ના રોજ એમ્સમાં જ તેમની કિડનીનું પ્રત્યાર્પણ પણ થયું હતું, તેમને ડાયાબિટિસ પણ હતો. સપ્ટેમ્બર 2014માં વજન વધવાને કારણે જેટલીએ બૈરિયાટ્રિક સર્જરી પણ કરાવી હતી.