પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના સીનિયર નેતા પી.ચિદમ્બરમને ગુરુવારે આઈએનએક્સ મીડિયા કેસમાં ડબલ ઝટકો વાગ્યો છે. પહેલાં ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી ઈડી મામલે આગોતરા જામીન ન આપવામાં આવ્યા અને મોડી સાંજે રાઉઝ એવન્યૂ કોર્ટના આદેશ પર તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં તિહાડ જેલમાં મોકલવામાં આવ્યા છે. પૂર્વ નાણામંત્રીને ૧૯ સપ્ટેમ્બર સુધી તિહાડ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવશે. ચિદમ્બરમનો જન્મ દિવસ ૧૬ સપ્ટેમ્બરે છે. આમ, તેમણે આ વખતે તેમનો જન્મ દિવસ જેલના કેદીઓની સાથે જ ઉજવવો પડશે. સૂત્રોના જણાવ્યા પ્રામણે પી.ચિદમ્બરમની પહેલી રાત જેલમાં એક સામાન્ય કેદી જેવી જ રહી હતી. કોર્ટના આદેશ પર તેમને અમુક સુવિધાઓ ચોકક્સ આપવામાં આવી છે પરંતુ નાસ્તો અને જમવાનું તેમણે જેલનું જ ખાવુ પડશે. આમ, આજે સવારે ચીદમ્બરમની સવાર પૌઆ અને એક કપ ચાથી થઈ છે.
પૂર્વ નાણામંત્રીને જેલ નંબર સાતમાં રાખવામાં આવ્યા છે. જોકે અહીં પી. ચિદમ્બરમને અલગથી સેલ આપવામાં આવ્યો છે.
રાઉઝ એવન્યુ કોર્ટના આદેશથી પી. ચિદમ્બરમને વેર્સ્ટન ટોયલેટ આપવામાં આવ્યું છે.
પૂર્વ નાણામંત્રી ૨૪ કલાક સુરક્ષામાં જ રહેશે. સેલની આસપાસ સુરક્ષા વ્યવસથા આપવામાં આવી છે. સીસીટીવીથી પણ નજર રાખવામાં આવી રહી છે.
જેલના નિયમો પ્રમાણે તેમને એક તકિયો અને ધાબળો આપવામાં આવ્યો છે.સામાન્ય કેદીઓની જેમ પી ચિદમ્બરમને કોરિડોર અને સેલની સામેના પરિસરમાં ફરવાની છૂટ છે.આ સિવાય પૂર્વ નાણામંત્રીને જેલના નિયમો પ્રમાણે ન્યૂઝપેપર અને ટીવીની સુવિધા પણ આપવામાં આવી છે. આજે સવારે સાત વાગે તિહાડ જેલમાં પી. ચિદમ્બરમને પૌઆ, દલિયો અને બ્રેડ આપવામાં આવી હતી. તેમાં પી ચિદમ્બરમે થોડા પૌઆ ખાધા હતા.
પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંઘવી તરફથી સતત પ્રયત્નો કરવામાં આવ્યા હતા કે પૂર્વ નાણામંત્રી તિહાડ ન જાય. પરંતુ કોર્ટમાં તેમની એક પણ દલીલ ન ચાલી અને પૂર્વ નાણામંત્રીને સીબીઆઈની કસ્ટડીમાં ન મોકલવામાં આવ્યા અને ૧૯ સપ્ટેમ્બર સુધી તિહાડ જેલ મોકલી દેવામાં આવ્યા.
નોંધનીય છે કે, પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમ તરફથી વકીલ કપિલ સિબ્બલે કોર્ટમાં કહ્યું હતું કે, અમે ઈડી સામે સરન્ડર કરવા તૈયાર છીએ. જો તેઓ પૂછપરછ માટે કસ્ટડી લેવા માંગતા હોય તો લઈ શકે છે. કારણ કે સીબીઆઈ પાસે એટલા પૂરાવા નથી કે પી. ચિદમ્બમરને તિહાડ જેલમાં મોકલી શકાય.