અરવલ્લી : રાજસ્થાનની રાણી બોર્ડર પર આવેલા પેટ્રોલ પંપના બે કર્મચારીઓ સોમવારે બપોરે સવા બે વાગ્યાના સુમારે પોતાના બાઈક પર બેસીને વિજયનગર ની બેંકમાં કેશ જમા કરાવવા નીકળ્યા હતા. જેઓને નવાગામ ધનેળા ગામની સીમમાં અજાણયા બાઈક ચાલકોએ આંખમાં મરચાની ભૂકી નાંખી કર્મચારીના હાથમાં રહેલો રૂપિયા ભરેલો થેલો ઝુંટવી ૬૭૦૪૨૦ ની લૂંટ કરી ફરાર થઇ જતા સમગ્ર વિજયનગર તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ અંગે બેન્ક કર્મચારીની ફરિયાદ બાદ પોલીસે અજાણ્યા બાઈક ચાલક લૂંટારુઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
રાજસ્થાનના રાણી બોર્ડર પર આવેલા ભારત પેટ્રોલિયમમાં ફરજ બજાવતા અને ઉદયપુર જિલ્લાના સાલુમ્બર તાલુકાના રેન્ટલ ગામના અમરસિંહ શંભુસિંહ રાઠોડ અને લક્ષ્મણસિંહ વિજયનગરની બેંકમાં કેશ નાણાં ભરવા માટે પોતાની બાઈક પર બેસીને સોમવારે બપોરે સવા બે વાગ્યે નીકળ્યા હતા. જ્યાં તેઓ નવાગામ ધનેલા ગામમાંથી પસાર થતા હતા. તે સમયે કાળા કલરની હોન્ડા સાઈન જેવી બાઈક પર આવેલા આશરે ૨૦ થી ૨૫ વર્ષની ઉંમરના બે યુવકોએ બાઈક પર સવાર અમરસિંહ શંભુસિંહ રાઠોડ અને લક્ષ્મણસિંહની આંખમાં મરચાનો પાવડર નાંખતા બન્ને જણા બાઈક ઉપરથી જમીન ઉપર પટકાતા બાઈક સવાર યુવકોએ અમરસિંહ રાઠોડના હાથમાં રહેલા રૂ.૬૭૦૪૨૦ ની લૂંટ કરી અજાણયા બે શખ્સો પેટ્રોલ કર્મચારીઓ પાસેથી રૂપિયાની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા આ બનાવ મામલે પેટ્રોલ પંપના બે કર્મચારી અમરસિંહ શંભુસિંહ રાઠોડએ અજાણયા બે લૂંટારૂ યુવકો વિરૂધ્ધ વિજયનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરાર યુવકોને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ધોળે દહાડે બનેલી લૂંટની આ ઘટનાને પગલે વિજયનગરના વેપારીઓમાં ચિંતાનો વિષય બન્યો છે.