રાધનપુર-મહેસાણા એસ.ટી બસ સાંજે સવા પાંચ વાગે રાધનપુરથી ઉપડીને સાંજે પોણા આઠ વાગે મહેસાણા જુના એસ.ટી.સ્ટેશને પહોંચતી હતી,જેમાં વિસનગર બાજુના મુસાફરો પણ રોજ અપ-ડાઉન કરે છે,જેમને તુરંત જ વિસનગર બાજુની એસ.ટી બસો મળી જતી હતી,પરંતુ પાકિસ્તાન સરહદને અડીને આવેલા સુઈગામથી છેક મહેસાણા અપ-ડાઉન કરતા એક વગદાર શિક્ષક સવા પાંચ વાગ્યા સુધી રાધનપુર એસ.ટી.સ્ટેન્ડ સુધી પહોંચી શકતા ના હોવાથી તેમણે એસ.ટી.નિગમની સેન્ટ્રલ ઓફિસે લાગવગ લગાવીને આ બસનો ટાઈમ ગત બુધવારથી પંદર મિનિટ મોડો એટલે કે સાડા પાંચ વાગ્યાનો કરાવી દીધો છે.જેના કારણે રાધનપુર-ગોચનાદ-બાસ્પા-સમી-હારીજ અને ચાણસ્માથી મહેસાણા અપ-ડાઉન કરતા ૩૦ થી વધુ પાસધારકો ઉપરાંત મુસાફરો મળીને રોજ ૪૦થી વધુ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.એમાંય જે મુસાફરોને દરરોજ મહેસાણાથી વિસનગર બાજુની બસ મળી રહેતી હતી તે ચુકી જવાથી એ મુસાફરો રખડી પડે છે,અને કડકડતી ઠંડીમાં મોડી રાતે ઘરે પહોંચવું પડે છે. એક મુસાફર સંજયભાઈ પટેલના જણાવ્યા મુજબ એકમાત્ર વગદાર શિક્ષકના કારણે આટલા બધા મુસાફરોને પરેશાન થવું પડે તે યોગ્ય નથી.એસ.ટી તંત્રએ તાત્કાલિક આ બસનો સમય ફરીથી સવા પાંચ વાગ્યાનો કરી દેવો જોઈએ,જેથી મુસાફરોને હાલાકીનો સામનો કરવો ના પડે.એસ.ટી.તંત્ર એકબાજુ ખોટ કરી રહી છે,અને જે બસમાં વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે,તેનો સમય કોઈની પૂછપરછ વગર બદલી નાખવામાં આવે છે.જે યોગ્ય નથી. આ ઉપરાંત આ એસ.ટી.બસમાં દરરોજ ૪૦થી વધુ મુસાફરો સફર કરતા હોવાથી અને છેલ્લા એક મહિનાથી મીની બસ મુકવામાં આવતી હોવાથી ૩૩ બેઠકોવાળી બસમાં મુસાફરોને ઉભા-ઉભા મુસાફરી કરવાનો વારો આવે છે.ર્ક્યારેક તો રાધનપુરથી છે છેક મહેસાણા સુધી મુસાફરોને ઉભા જ રહેવું પડે છે.અગાઉ મોટી એસ.ટી.બસ હતી ત્યારે મુસાફરોને આ સમસ્યાનો સામનો કરવો પડતો નહોતો. સૌથી વધુ મુસાફરો લઈને જતી આ મીની બસની જગ્યાએ ફરીથી મોટી બસ ફાળવવા માંગ ઉઠી છે,જેથી મુસાફરોને હાલાકી ના પડે.