ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના પૂર્વ CM નારાયણ દત્ત તિવારીનું આજે દિલ્હીમાં સાકેત સ્થિત મેક્સ હોસ્પિટલમાં 93 વર્ષે નિધન થયું છે. એનડી તિવારીનું નિધન તેમના જન્મદિવસના રોજ જ થયું છે. એનડીના નિધનથી રાજકીય પાર્ટીઓમાં શોક છવાયો છે. નારાયણ દત્ત તિવારી દેશના પહેલાં એવા રાજનીતિજ્ઞ હતા જેમને બે-બે રાજ્યના મુખ્યમંત્રી હોવાનું ગૌરવ મળ્યું. તેઓ કેન્દ્રમાં નાણાં, વિદેશ, ઉદ્યોગ, શ્રમ જેવાં મહત્વના મંત્રાલયો સંભાળી ચુક્યાં છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે એનડી તિવારીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેઓએ ટ્વીટ કર્યું કે, "ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી પંડિત નારાયણ દત્ત તિવારીના નિધન પર દુઃખ વ્યક્ત કરું છું. હું ઈશ્વર સમક્ષ તેમની દિવંગત આત્માની શાંતિ તેમજ પરિવારના લોકોને દુઃખ સહન કરવાની પ્રાર્થના કરું છું."
તિવારીનો જન્મ નૈનીતાલના બલૌટી ગામમાં 18 ઓક્ટોબર, 1925નાં રોજ થયો હતો.પ્રાથમિક શિક્ષણ મેળવ્યાં બાદ તેઓ અલ્હાબાદ યુનિવર્સિટી ગયા જ્યાં તેઓએ રાજનીતિ શાસ્ત્રમાં MA અને બાદમાં LLB કર્યું. તેઓએ 1947માં અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ તરીકે ચૂંટાયા. 1947થી 1949 સુધી તેઓ ઓલ ઈન્ડિયા સ્ટૂડન્ટ્સ કોંગ્રેસના સચિવ રહ્યાં.એનડી તિવારી પહેલાં એવાં રાજનીતિજ્ઞ હતા જેમને બે રાજ્યોના મુખ્યમંત્રી બનવાનું ગૌરવ મળ્યું છે.1966-67, 1984-85, 1988-89 સુધી તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પદે રહ્યાં. તિવારી 2002-2007 સુધી ઉત્તરાખંડના CM રહ્યાં. એનડી તિવારી કેન્દ્ર સરકારમાં પણ મંત્રી રહ્યાં હતા. 1986-87 સુધી તેઓ રાજીવ ગાંધી સરકારમાં વિદેશ મંત્રી રહ્યાં.તેઓ 2007થી 2009 સુધી આંધ્રપ્રદેશના રાજ્યપાલ પણ રહ્યાં હતા.
એનડી તિવારીએ 1954માં સુશીલા તિવારી સાથે લગ્ન કર્યાં હતા. 14 મે 2014નાં રોજ તેઓએ ઉજ્જવલા તિવારી સાથે 88 વર્ષે લગ્ન કર્યાં. એનડી તિવારી ઉજ્જવલાના પુત્ર રોહિત શેખરના જૈવિક પિતા છે.