ડીસા : બનાસકાંઠાનું ડીસા શહેર તમામ મોરચે નવી દિશા ચીંધવામાં અગ્રેસર રહે છે ત્યારે આ વર્ષે ડીસાની જૂની અને જાણીતી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા આદર્શ વિદ્યાસંકુલમાં કેળવણીના પાઠ ભણતા બાળકોના વાલીઓએ પણ જાગૃતિની પ્રતીતિ કરાવી આવતીકાલ ગુરુવારે વિશ્વ શિક્ષક દિનની ઉજવણી પ્રસંગે આદર્શ વિદ્યાસંકુલના તમામ ગુરુજીઓનું સામુહિક સન્માન કરવાનો નિર્ણય લઈ નવી દિશા ચીંધી છે.
આવતીકાલ ગુરુવારે સવારે ડીસાના આદર્શ વિદ્યાસંકુલમાં બે અલગ અલગ સેશનમાં શાળાના વાલી મંડળ દ્વારા શિક્ષક સન્માન સમારોહ યોજાશે.જે પૈકી સવારે ૭.૩૦ થી નવ વાગ્યા દરમ્યાન આદર્શ પ્રાથમિક શાળાના તમામ શિક્ષકો તેમજ સવારે ૯.૩૦ થી ૧૧.૩૦ દરમ્યાન શાળાના માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગના તમામ ગુરુગણનું વાલી મંડળો દ્વારા જાહેર સન્માન કરાશે. સંસ્કાર મંડળ, ડીસાના પ્રમુખ ડો.અજયભાઈ જોશી, મંત્રી હિતેશભાઈ અવસ્થિ તેમજ અન્ય ટ્રસ્ટીઓ ઉપરાંત ડીસાના પ્રખર સાહિત્યકાર કનુભાઇ આચાર્યની વિશેષ ઉપસ્થિતિમાં યોજાનાર આ શિક્ષક સન્માન સમારોહમાં શાળાના પ્રાથમિક, ઉચ્ચતર પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગના વાલી મંડળોના હોદ્દેદારો અને જાગૃત વાલીઓ પોતાના સ્વહસ્તે શાલ, સન્માનપત્રો અને પેન આપી ગુરુગણનું સન્માન કરી રૂણ સ્વીકાર કરશે. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં એક જ શૈક્ષણિક સંકુલમાં વિશ્વ શિક્ષક દિનની ઉજવણીના દિવસે જ એક સાથે ૧૫૧ થી વધુ શિક્ષકોનું સન્માન થનાર હોઈ આ પ્રસંગ શાળા અને બનાસકાંઠાના શૈક્ષણિક જગત માટે પણ નોંધપાત્ર બની રહેશે.આવો આવકાર્ય અભિગમ અપનાવી આદર્શ વિદ્યાસંકુલના વાલી મંડળોએ નગર તેમજ જિલ્લાની અન્ય શૈક્ષણીક સંસ્થાઓના વાલીઓને પણ નવો રાહ ચીંધ્યો છે.