રખેવાળ ન્યુઝ પાટણ : પાટણ જીલ્લા પોલીસ વડા અક્ષયરાજે મિલ્કત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા સુચના કરી હતી. જે આધારે ના.પો.અધિ. એચ.કે. વાઘેલાના માર્ગદર્શન હેઠળ હારીજ પોલીસ સ્ટેશનના પી.એસ. આઇ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. જ્યાં બાતમીને આધારે પોલીસે દાંતરવાડા ગામેથી ત્રણ ડફેરોની અટકાયત કરી હતી. તેમની તલાશી લેતા બે દેશી બનાવટની બંદૂક સહિત કુલ ૪૫,૦૦૦ના મુદ્દામાલ સાથે તેમની અટકાયત કરાઇ છે.
પાટણ જીલ્લામાં ઘરફોડ-ચોરીના કેસના આરોપીઓને ઝડપી પાડવા પોલીસ અધિક્ષકે સુચના કરી હતી. આ દરમ્યાન હારીજ પોલીસને બાતમી મળી હતી કે, ત્રણ ઇસમો દેશી બંદૂક સાથે દાંતરવાડા ગામના તટમાં છે. જેથી પોલીસે અચાનક રેડ કરી ત્રણેય ઇસમોને દબોચ્યા હતા. પોલીસે તેમની પાસેથી દેશીહાથની બનાવટની બંદુક નંગ-૨, દારૂગોળા તથા છરા, મોટર સાયકલ નંગ-૨ કુલ ૪૫,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
હારીજ પોલીસે આરોપીઓને કડક પુછપરછ કરતા તેમને વાગોસણના મંદીરોમાં ૧૪,૧૨૦ની અને અંબેશ્વર સોસાયટીમાં ૨,૮૦, ૭૦૦ના મુદ્દામાલની ચોરી કરી હોવાનું કબુલ્યુ હતુ. પોલીસે આરોપીઓને ઝડપી કુલ ૪,૨૧,૯૦૦નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.