સિદ્ધપુરમાં તસ્કરોએ ફરી એક વાર તરખાટ મચાવ્યો છે શનિવારે રાત્રીએ સિદ્ધપુરની બે સોસાયટીમાં ૫ બંધ મકાનોના તાળા તૂટ્યા હતા જેમાં ચાર મકાનોમાં તસ્કરોને ફોગટ ફેરો પડ્યો હતો જયારે પુષ્પ વાટિકા સોસાયટીમાં એક બંધ મકાનમાં સોના ચાંદીમાં દાગીના મળી કુલ રૂ ૨,૦૭,૦૦૦/-ની ચોરી થઇ હતી. સિદ્ધપુર શહેરની પુષ્પ વાટિકા સોસાયટી મકાન નંબર ૧૪૭ માં રહેતા પ્રાર્થનાબેન મહેશભાઈ પાધ્યાએ નોંધાવેલ પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેઓ ગત ૨૪ જાન્યુઆરીના રોજ જગન્નાથપુરી ગયેલ હતા અને પરત આવી રહ્યા હતા ત્યારે પાડોશી દ્વારા જણાવ્યું હતું કે, ઘરના દરવાજાનો નકુચો તૂટેલ છે જેથી ઘરે આવી તપાસ કરતાં ઘરમાં તમામ સરસામાન વેરવિખેર હાલતમાં હતો જયારે ઘરમાં મુકેલ તિજોરી જે ખુલ્લી હાલતમાં હતી અને તિજોરીમાંથી તપાસ કરતા સોનાનું પેન્ડલ દોઢ તોલા કિ. ૪૫,૦૦૦/-, સોનાની ચેઇન નંગ -૨, બે તોલા કિ.૬૦,૦૦૦/-, સોનાની વીંટી નંગ-૪, દોઢ તોલા કિ.૪૫,૦૦૦/-, સફેદ મોતીની માળા કિ.૧૫,૦૦૦/-,રુદ્રાક્ષની માળા સોનાની કિ. ૩૦,૦૦૦/-, ચાંદીનો જુડો મળી ૩૦ ગ્રામ,કિ ૫૦૦૦/-રોકડ ૭૦૦૦ મળી કુલ ૨,૦૭,૦૦૦ની મત્તા ચોરી થઈ હતી. આ ઉપરાંત પ્રાર્થનાબેન મહેશભાઈ પાધ્યા ૨૪ જાન્યુઆરીથી ૯ ફેબ્રુઆરીના સમય દરમ્યાન મકાન બંધ કરીને બહાર ગામ ગયેલ તે સમય દરમ્યાન કોઈ શખ્સો ઘરના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં તિજોરી તોડી સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરી ગયા હતા. જોકે અન્ય ત્રણ મકાનોના તાળા તૂટ્યા હોઇ હાલમાં જ ચોરી થઇ હોવાનું જણાઇ રહયું હોવાનું લોકોએ કહયું હતું.