રાજસ્થાનમાં ટ્રક પાછળ ઈકો કાર ઘૂસી જતાં અમદાવાદના એક જ પરિવારનાં ૫નાં મોત

અમીરગઢઃ રાજસ્થાનના સ્વરૂપગંજથી સિરોહી જતા રોડ પર ભીમાના નજીક મંગળવારે સવારે ઊભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં અમદાવાદના એક જ પરિવારના ત્રણ બાળકો સહિત ૫ જણના મોત નિપજ્યાં હતા જ્યારે અન્ય લોકોને ઈજા થતાં સારવાર હેઠળ ખસેડાયા છે.
 
મધ્યપ્રદેશના શિવપુરા જિલ્લાના અરાદરા ગામના વતની અને હાલ અમદાવાદ ખાતે રહેતા યાદવ પરિવારના સભ્યો જીજે ૨૩ સીએ ૦૫૧૭ નંબરની ઇકો ગાડી લઈને સોમવારે રાત્રે અમદાવાદથી રામદેવરા દર્શનાર્થે જઈ રહ્યા હતા. મંગળવારે સવારે સ્વરૂપગંજ-સિરોહી હાઇવે પરના ભીમાના નજીક ઇકો ગાડીના ચાલકે સ્ટેયરિંગ ઉપરનો કાબૂ ગુમાવતા રોડ પર ઊભેલી ટ્રક પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર દુર્ઘટનામાં ઇકો ગાડીનો ભુક્કો બોલી ગયો હતો. જ્યારે ગણેશભાઇ રમેશભાઈ યાદવ તેમજ હરિલાલ યાદવને ગંભીર ઇજાઓ થતાં તેમના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે લાલી ઉર્ફે રોમા હરિલાલ યાદવ તેમજ અન્ય એક ૧૧ વર્ષીય બાળક સહિત ત્રણ જણના સારવાર દરમિયાન મોત નીપજ્યાં હતાં. આ ઘટનાનો ભોગ બનેલ પરિવાર અમદાવાદની કોઈ ફેકટરીમાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માતની જાણ થતાં સિરોહી કલેકટર પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.