સમી
સમી તાલુકાના ઝીલવાણા ગામે ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પૂરતું પાણી ન મળતું હોવાને કારણે ગામના ૫ જેટલા ખેડૂતોએ સમી મામલતદારને આવેદન પત્ર પાઠવી ૪૮ કલાકમાં પાણી નહીં મળે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. જેના કારણે શુક્રવારના રોજ સમી પોલીસ દ્વારા તેઓની અટકાયત કરવામાં આવી હતી.
ખેડૂતોની અટકાયત કરતાં ગામલોકો સમી પોલીસ સ્ટેશન દોડી આવતાં મામલો તંગ બન્યો હતો
ચાલુ સિઝનમાં અછતની પરિસ્થિતિમાં ચોમાસુ ખેતી સંપૂર્ણ નિષ્ફળ જતા ખેડૂતોને રવિ ખેતી માટે નર્મદા કેનાલનું પાણી વરદાન સ્વરૂપ છે ત્યારે સમી તાલુકાના ઝીલવાણા ગામના ખેડૂતો વઢેર જગાભાઇ, વઢેર ભગાભાઈ, પરમાર જીવાભાઇ, જોષી બાબુભાઈ, વઢેર કલાભાઈએ નર્મદાના પાણીના ભરોસે પોતાના ખેતરોમાં મોંઘા ભાવે બિયારણ વાવીને નર્મદાના પાણીની રાહ જોઇને બેઠા છે ત્યારે જલાલાબાદ ડિસ્ટ્રિબ્યૂટર કેનાલમાં પાણી ન આવતા ખેડૂતોની હાલત ખરાબ થતાં ઝીલવાણા ગામના ૫ જેટલા ખેડૂતોએ ૪૮ કલાકમાં આ કેનાલમાં પાણી નહીં મળે તો સમી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતાં શુક્રવારના રોજ સમી પોલીસ દ્વારા તેઓની અટકાયત કરવામાં આવી હતી.આ વાતની વાયુવેગે ગામમાં જાણ થતા ગામલોકો સમી પોલીસ સ્ટેશન પહોંચી જતાં મામલો તંગ બન્યો હતો.
આ અંગે સમી પીએસઆઇ એચ.એલ જોશીએ જણાવ્યું કે ઝીલવાણા ગામના ૫ ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી આપતા અટકાયત કરી જામીન માટે મામે કચેરી મોકલી આપ્યા હતા. ઝીલવાણા ગામના ખેડૂતો સમી પોલીસ સ્ટેશને દેખાવો કર્યા હતા