ઊંઝા : માર્કેટયાર્ડના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી માટે ભરાયેલાં ફોર્મની બુધવારે ચકાસણી હાથ ધરાઇ હતી. જેમાં ખેડૂત વિભાગની ૮ બેઠક માટે ભરાયેલાં તમામ ૨૮ ફોર્મ માન્ય રહ્યા હતા. જ્યારે વેપારી વિભાગની ૪ બેઠક માટે ભરાયેલા ૧૬ ફોર્મ પૈકી ૩ ફોર્મ રદ થતાં ૧૩ ફોર્મ માન્ય રહ્યા હતા. ઊંઝા માર્કેટયાર્ડ પર કબજો જમાવવા ભાજપના બે જૂથો ગૌરાંગ પટેલ અને ડૉ. આશાબેન પટેલ આમનેસામને છે.
એક જ ઉમેદવારે ૪ ફોર્મ ભરતાં રદ થયાઃ પટેલ નરેન્દ્ર કાનજીભાઇએ કુલ ચાર ફોર્મ ભર્યા હોઇ ત્રણ ફોર્મ રદ કરાયાં હતાં. હવે ૧લી જૂન સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે, એટલે કે ૧લી જૂને આખરી ચિત્ર સ્પષ્ટ થઇ જશે. ૯ જૂને ચૂંટણી યોજાશે અને તેનું પરિણામ ૧૦મીએ જાહેર થશે.
સહકારી રાજકારણમાં ગરમાવોઃ એશિયાખંડની સૌથી મોટી અને આર્થિક રીતે સધ્ધર ઊંઝા માર્કેટયાર્ડમાં સત્તા હાંસલ કરવા આ વખતે ભાજપના જ બે જૂથો આમને સામને આવતાં ચૂંટણી રસપ્રદ બની ગઇ છે. ચૂંટણીમાં પૂર્વ ચેરમેન ગૌરાંગ પટેલ અને ભાજપનાં ધારાસભ્ય ડૉ. આશાબેન પટેલ જૂથના દિનેશ પટેલની પેનલ મેદાનમાં છે. જેને લઇ સહકારી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
ખેડૂત અને વેપારી વિભાગના મતદારોઃ ઉલ્લેખનીય છે કે, આખરી મતદાર યાદી મુજબ ખેડૂત વિભાગના ૩૧૩ મતદારો તેમજ વેપારી વિભાગના ૧૬૩૧ મતદારો છે. જ્યારે સહકારી ખરીદ વેચાણ મંડળી વિભાગમાં એકપણ મંડળી ન હોઈ બે બેઠક રદ કરાઈ છે.