પાલનપુર : પાલનપુર સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ ૭ દિવસ થી હડતાલ પર છે.જોકે,આ કામદારોને ન્યાય ન મળતા આખરે સાતમા દિવસે ૫૦ જેટલા કામદારો કલેકટર કચેરી આગળ ભૂખ હડતાલ પર ઉતરી ગયા છે.
પાલનપુર સિવિલ હોસ્પિટલમાં વર્ષોથી કામ કરતા કર્મચારીઓનો પગાર ઓછો કરી તેમને આડેધડ છુટા કરી દેવાના મામલે સાત દિવસથી આ કામદારો હડતાલ પર છે. જોકે, ૬ જેટલા કામદારોએ ફીનાઈલ ગટગટાવી જીવનનો અંત આણવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં કોઈ ઉકેલ આવ્યો નથી તેવું રમેશભાઈ નામના હડતાલિયા કર્મચારીએ જણાવ્યું હતું.
દરમિયાન, આજે પચાસ જેટલા કર્મચારીઓ કલેક્ટર કચેરી ખાતે ભૂખ હડતાલ પર ઉતરી ગયા છે. જેઓએ સાત દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. અને ન્યાય નહીં મળે અથવા કોઈ અનહોની થશે તો જવાબદારી સરકારની રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હોવાનું મંજુબેન નામના સફાઈ કામદારે જણાવ્યું હતું.
જોકે, પાલનપુર સિવિલના ખાનગીકરણ બાદ સિવિલનો વહીવટ હસ્તગત કરનાર બનાસ મેડિકલ કોલેજના ચેરમેન માવજી દેસાઈ કલેકટર કચેરીમાં આવ્યા હતા. ત્યારે તેઓને આ અંગે પૂછતાં તેઓએ કેમેરા સામે કઈ પણ કહેવાનો ઇન્કાર કરી દીધો હતો.
આમ, એક સપ્તાહ બાદ પણ પાલનપુર સિવિલ હોસ્પિટલના સફાઈ કામદારોની હડતાળ જારી રહી છે. ત્યારે સફાઇના અભાવે સિવિલમાં સારવાર અર્થે આવતા હજારો દર્દીઓ ના આરોગ્ય સામે પણ ખતરો મંડરાઈ રહ્યો છે.