પાલનપુર : પાલનપુર શહેરના બેચરપુરા વિસ્તારમાં તસ્કરો બુધવારે રાત્રે એક બંધ મકાનને નિશાન બનાવી ત્રાટકયા હતા.જેમાંથી રોકડ રકમ તેમજ સોના- ચાંદીના દાગીના મળી કુલ રૂ. ૧.૯૫ લાખના મુદ્દામાલની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. આ અંગે પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુર શહેરમાં શિયાળાની શરૂઆતની સાથે જ તસ્કર ટોળકી સક્રિય થવા પામી છે. જ્યાં બેચરપુરા વિસ્તારમાં એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતુ. તસ્કરોએ મહેશભાઇ શંકરભાઇ કર્ણાવત (પટેલ)ના બંધ મકાનના દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ કર્યો હતો. જેમાંથી રોકડ રકમ રૂપિયા ૨૫,૦૦૦ તેમજ રૂપિયા ૧,૭૦,૦૦૦ના સોના- ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ૧,૯૫,૦૦૦ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ અંગે પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા શખ્સો સામે ગૂનો નોંધી તેમને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.