મધ્યપ્રદેશ: 3 વર્ષની એનિમિયાની શિકાર થયેલી રાશિ (વજન- 8 કિલો 100 ગ્રામ)ને માતા-પિતા લોહી આપવા માટે તૈયાર નહોતા. મુરૈના જિલ્લાની અંબાહ સિવિલ હોસ્પિટલમાં પિતા પૂરનસિંહે ડોક્ટરોને કહ્યું- મારી દીકરી મરતી હોય તો ભલે મરી જાય, હું તેને લોહી નહીં આપું. ઘરે લઇ જઇશ. આ સાંભળીને ડોક્ટરો પણ ચોંકી ગયા. જેમ-તેમ પિતાને હોસ્પિટલમાં રોકાવા માટે સમજાવ્યા. નવજાતને તેના માતા-પિતાની સાથે એમ્બ્યુલન્સમાં મુરૈના જિલ્લા હોસ્પિટલ પહોંચાડવામાં આવી. અહીંયા તેને લોહી ચડાવવામાં આવ્યું અને અંબાહ એનઆરસીમાં 14 દિવસ રાખીને ડાયેટિશિયનને તેની દિવસ-રાત સેવા કરી. જ્યારે બાળકી કુપોષણની શ્રેણીમાંથી બહાર આવી ગઈ ત્યારે તેને ગામ મોકલી દેવામાં આવી. હવે આ જ બાળકી સામાન્ય બાળકોની જેમ મુસ્કુરાઈ રહી છે.
અંબાહ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટેડ ડૉ. પ્રદીપ શર્માએ જણાવ્યું- દીકરી હોવાને કારણે પૂરણસિંહે લોહી આપવાની ના પાડી દીધી. તેની માતા જ્યોતિ પણ દીકરીને ઘરે લઇ જવાની જીદ પર અડી હતી. ત્યારબાદ અમે તેને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલ પહોંચાડી. અહીંયા જિલ્લા ટીકાકરણ અધિકારી અજય ગોયલે પોતે બાળકીને લોહી આપ્યું. ત્યારબાદ બાળકીને ફરી અંબાહ એનઆરસીમાં દાખલ કરવામાં આવી. અહીંયા ડાયટિશિયન કીર્તિ રાજાવતે બાળકીની 14 દિવસ સુધી સારસંભાળ લીધી. નક્કી કરેલા શેડ્યુલ પ્રમાણે તેને પૌષ્ટિક આહાર આપ્યો, ત્યારે છેક બાળકી સિવિયર એનીમિક અને કુપોષણમાંથી બહાર આવી. બાળકીના સાજા થતાં જ માતાએ તેને ખોળામાં તેડી લીધી અને ઘરે લઇ ગઇ.
જે સમયે રાશિ એનઆરસીમાં દાખલ થવા માટે આવી હતી, તે સમયે તેની અંદર 3.8 હીમોગ્લોબિન હતું. મુરૈનામાં બ્લડ ડોનેટ પછી બાળકીની એનઆરસીમાં 14 દિવસ સુધી દેખભાળ કરવામાં આવી. એનઆસી અંબાહની ડાયટિશિયન કીર્તિ રાજાવતે જણાવ્યું કે દાખલ થતી વખતે રાશિનું વજન 8 કિલો 100 ગ્રામ હતું પરંતુ અહીંયા 14 દિવસની સારવાર પછી તેનું વજન 8 કિલો 780 ગ્રામ થઈ ગયું. હાલ બાળકીનું વજન 9 કિલો 500 ગ્રામ છે. એનઆરસી અંબાહમાં એક મહિના પહેલા કુપોષણથી પીડાતી રાશિ દાખલ થઈ હતી.
ડૉ. પ્રદીપ શર્માએ જણાવ્યું- બાળકીઓ અને મહિલાઓમાં ઘણીવાર એનિમિયાની સમસ્યા રહે છે. જો હીમોગ્લોબિન 10થી ઓછું છે તો મહિલા અને બાળકીને એનિમિક માનવામાં આવે છે, પરંતુ જ્યારે હીમોગ્લોબિનનું લેવલ 7થી પણ ઓછું થઈ જાય છે ત્યારે તેને સિવિયર એનિમિક એટલેકે ખતરનાક સ્ટેજનું એનિમિયા માનવામાં આવે છે, જેમાં જીવ પણ જઈ શકે છે. એટલે બાળકી રાશિને અમારે તાત્કાલિક બ્લડ ચડાવવું પડ્યું. ત્યારબાદ એનઆરસી અને આંગણવાડી કેન્દ્ર પર સારવાર હેઠળ આપવામાં આવેલા પૌષ્ટિક તત્વોથી બાળકી કુપોષણમાંથી બહાર આવી ગઈ.