અંબાજી : બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બર વિસ્તારમાં આવેલ ચૂંદડીવાળા માતાજીના આશ્રમ ઉપર કેટલાક લોકોએ હલ્લાબોલ મચાવતા ગરમાગરમી સર્જાઈ હતી.ચૂંદડીવાળા માતાજીએ ગુરુધૂણી તરફ જતા રસ્તાને બિનકાયદેસર રીતે બંધ કરી દીધો હોવાના આક્ષેપ સાથે ગુરુધુણીના સાધક ભાવિકો તેમજ અનુયાયીઓએ આજે ચૂંદડીવાળા માતાજીના આશ્રમે ધસી જઇ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી આ રસ્તો યથાવત રીતે ફરી ચાલુ કરવા માંગ કરી હતી. આ રસ્તો ચૂંદડીવાળા માતાજીના આશ્રમમાંથી નીકળતો હોઇ ગેરકાયદે રસ્તો બંધ કરાયો હોવાના આક્ષેપ કરી રહેલા અનુયાયીઓએ જો આ રસ્તો ચાલુ કરવામાં ના આવે તો માતાજીનોઘેરાવ કરવાની પણ ચીમકી આપી હતી.યાત્રાધામ અંબાજીમાં ગબ્બર ખાતે આજે ગ્રામજનો અને સાધુ સંતો હલ્લાબોલ પર ઉતરી આવ્યા હતા. અંબાજીના ગબ્બર વિસ્તારમાં ચુનડીવાળા માતાજીના આશ્રમમાંથી નીકળતો ગુરુ ધુણી જવાનો રસ્તો બંધ કરવાના વિરોધમાં ગ્રામજનો અને સાધુ સંતોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગબ્બર વિસ્તારમાં ચૂંદડીવાળા માતાજીના આશ્રમ પાસે સાધુ સંતોની વર્ષો જૂની ગુરુધુણી આવેલી હોઈ ચૂંદડીવાળા માતાજીએ આશ્રમનો વિસ્તાર કરવા વર્ષોજૂની ગુરુ ધુણીના માર્ગને બંધ કરી દીધો હોવાના આક્ષેપો સાથે સાધુ સંતોએ વર્ષોજૂની ગુરુ ધુણીનો માર્ગ ખોલવામાં ના આવે તો ચૂંદડીવાળા માતાજીનો ઘેરાવ કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.