રાધનપુરના મસાલી ગામે નર્મદાના પાણી આપવામાં નહિ આવે તો ચૂંટણીના બહિષ્કારની ગ્રામજનોની ચીમકી
રખેવાળ ન્યુઝ રાધનપુર : રાધનપુર તાલુકાના મસાલી ગામના ગ્રામજનોએ પ્રાંત અધિકારીને લેખિતમાં રજુઆત કરીને મસાલી ગામમાં આવતી મસાલી માયનોર કેનાલમાં આવતા કમાન્ડ વિસ્તારમાં સને ૨૦૧૭ થી નર્મદા નિગમ દ્વારા નિયત કરેલા સર્વે નંબરમાં આજદિન સુધી ટેસ્ટિંગ કરવામાં આવેલ નથી તેમજ ગામના એકપણ ખેડૂતને ખેતી માટે સિંચાઇનું પાણી મળેલ નથી.નિગમમાં ગામના ખેડૂતો અને ગ્રામજનો દ્વારા વારંવાર લેખિતમાં અને મૌખિકમાં રજૂઆતો કરવા છતાં કોઈ સાંભળતું ના હોવાથી બુધવારે ગ્રામજનો દ્વારા પ્રાંત અધિકારીને લેખિતમાં રજુઆત કરીને જાે નર્મદાના પાણી આપવામાં નહિ આવે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપવામાં આવી છે.
મસાલી ગામના સરપંચ હરગોવનભાઈ ભીખાભાઇ સોલંકી, રામજીભાઈ ચૌધરી, સાજીદખાન બલોચ, ભાવાભાઇ ઠાકોર સહીત ગામના અગ્રણીઓ દ્વારા ગ્રામ પંચાયતના લેટરપેડ ઉપર
રજુઆત કરવામાં આવી છે,જેમાં નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવતો ના હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.સરકાર દ્વારા રાત્રી મીટીંગનું આયોજન કરાયું ત્યારે મામલતદારની રૂબરૂમાં સૂચનાઓ આપવા છતાંય નર્મદા નિગમના અધિકારીઓ ધ્યાન આપતા નથી.રજુઆત કરવામાં આવે ત્યારે એક જ જવાબ મળે છે. કોન્ટ્રાક્ટરને જાણ કરવામાં આવી છે.કોન્ટ્રાક્ટર અને નર્મદા યોજનાના અધિકારીઓની મિલીભગતના કારણે આજદિન સુધીમાં માયનોર કેનાલમાં પાણી નાખવામાં આવેલ નથી.આ ઉપરાંત મસાલી ગામની સીમની ખેતીલાયક ૭૦૦ હેક્ટર જમીન કમાન્ડ એરિયામાં સમાવેશ કરવામાં આવ્યો ના હોઈ આ તમામ જમીનને કમાન્ડ એરિયામાં સમાવેશ કરવાની પણ માંગ કરવામાં આવી છે. જાે આ માંગણીઓ સંતોષવામાં નહિ આવે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.