પાટણમાં ઉભરાતી ગટરની કૂંડીનાં ગંદા પાણીનો નિકાલ કરવા પાલિકામાં ઉગ્ર રજૂઆત
પાટણ શહેરનાં નિલમ સિનેમાથી બુકડી જવાનાં જાહેર માર્ગમાં પનાગરવાડાની મસ્જિદ પાસે આવેલી ભુગર્ભ ગટરની કુંડી છેલ્લા કેટલાક સમયથી ઉભરાતી હોવાનાં મામલે આક્રોશિત બનેલા આ વિસ્તારનાં રહીશ મુસ્લિમ બિરાદરોએ પાટણ નગરપાલિકા ખાતે આ વોર્ડ નં. 8 માં સુધરાઇ સભ્ય ભરત ભાટીયાનાં નેતૃત્વ હેઠળ ચીફ ઓફિસર અને પ્રમુખ સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી હતી. આથી પ્રમુખે ભુગર્ભ ગટરનાં એન્જિનીયરને બોલાવીને તેઓને આ અંગે ઘટતું કરવા તથા પાઇપ લાઇન તૂટેલી હોય તો યોગ્ય સમારકામ કરવા સૂચના આપી હતી.
પાટણ નગરપાલિકા ખાતે ભૂરા સૈયદ, અનવર શેખ, ઉસ્માન શેખ સહિત અન્ય મુસ્લિમ અગ્રણીઓએ રજૂઆત કરી હતી કે, પાટણ નગરપાલિકાના વોર્ડ નં. 8ના પનાગરવાડાની મસ્જિદ પાસે આવેલી ભુગર્ભ ગટરની કુંડીમાંથી વારંવાર ગંદુ પાણી ઉભરાય છે તેમજ જાહેર માર્ગમાં ફેલાય છે. અને આ પાણીનો કોઇ નિકાલ થતો નથી. આ ગંદા પાણીથી મચ્છરોનો ઉપદ્રવ વધે છે તથા આવતા જતા રાહદારીઓને મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરિયા, ફેલાવવાનો ભય રહે છે.