
પાટણનાં રેલવે ઓવરબ્રિજનાં નિર્માણમાં ભુગર્ભ ગટરની લાઇન વિઘ્ન બની
પાટણ શહેરનાં રાજમહેલ રોડ પરનાં રેલવેનાં ફાટક પરનાં ઓવરબ્રિજનું કામ ફરી એક વાર અટકી ગયું હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. જાણવા મળ્યુ છે કે, આ બ્રિજનાં નિર્માણકાર્ય દરમ્યાન અત્યારે રેલ્વે ફાટકની બહાર કોલેજ રોડ પર ટીચર્સ કોલોનીની લાઈનમાં ફાટકની બરાબર સામે આવેલા એમ મોલ જેવી દુકાન આગળ જ્ઞાનશક્તિ સર્કલથી યશપ્લાઝા થઈને રેલ્વે ફાટકને પાર કરીને કલેકટર કચેરી તરફનાં રોડની નીચેથી પસાર થતી વર્ષો જુની પાટણ નગર પાલિકાની ભુગર્ભ ગટર લાઈન હજુ પણ નીચે હોવાથી તેની પર બ્રિજનો પિલ્લર એટલે કે, પાઈલ બનાવવા માટેની જગ્યા મળતી ન હોવાથી કામ બંધ હોવાનું જાણવા મળ્યુ છે.
અત્રે નોંધનિય છે કે, પાટણનાં રેલ્વે ફાટક પર રેલ્વે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી સરકારની સંસ્થા જયુડીસીએ તેની નિયુક્ત એજન્સી મારફતે કામગીરી શરુ કરી તે પહેલાં આ વિસ્તારમાંથી જમીન માંથી પસાર થતી ભુગર્ભ ગટર, પાણીની પાઈપ લાઈન, ટેલિફોનનાં દોરડા, વિજળીની લાઈનો સહિતની અન્ય લાઈનોનોનું શિફિટંગ કરવા માટે જીયુડીસીએ ખાસ ગ્રાન્ટ ફાળવી હતી. અને તમામ બાબતોનું શિફિટંગ થઈ ગયું હોવાની બાબત કિલયર થયા પછી ઓવરબ્રિજની કામગીરી શરુ થઈ હતી.
અત્યારે તો તેનાં પિલ્લરો અને પાઈલ બધું જ બની રહયુ છે. અને હવે ફાટક સામેનાં કોલેજ રોડથી ફાટક તરફની કામગીરી માટે નવી પાઈલ નાંખવાની કામગીરી શરુ થાય તે પહેલાં કોન્ટ્રાકટરનાં ધ્યાનમાં આવ્યુ કે, આ લાઈન પરથી તો હજુ ગટર લાઈન પસાર થાય છે. અને એનું શિફટીંગ સ્થળાંતર કરવાનું રહી જ ગયું હોવાથી આ કામગીરી હાલમાં સ્થગિત રખાઈ છે. દરમિયાન નગરપાલિકાનાં સૂત્રો તરફથી એવું જાણવા મળ્યુ કે, આ ગટર લાઈનનું શિફટીંગ કરવાનું એટલા માટે બાકી રહયુ હતું કે, આ લાઈનને કોઈ નુકશાન ન થાય તે રીતે પાઈલનું શારકામ ડ્રીલીંગ કરવાનું આયોજન થયુ હતું. આથી આ પાઈપ લાઈનનું અન્યત્ર સ્થળાંતર કરાયું નહોતું.
જાણવા મળતી માહિતી પ્રમાણે આ લાઈન જે તે વખતે શિફટીંગ કરવાનું ભારે કપરું કામ હતું અને સમગ્ર વિસ્તાર તેનાથી અસરગ્રસ્ત બને તેમ હોવાથી આ લાઈનને નુકશાન ન થાય તે રીતે બ્રીજનાં પીલ્લરો બનાવવાનો વિચાર કરાયો હતો. પરંતુ અત્યારે આ બ્રિજની કામગીરી દરમ્યાન આ પાઈપલાઈન નડતરરૃપ હોય તેવું જણાઈ રહયુ છે.
દરમ્યાન આ અંગે આ કામગીરી કરનારી એજન્સી સાથે સંકળાયેલા કોન્ટ્રાકટરનાં સહયોગી ભરતભાઈ પટેલને પૂછતાં જણાવ્યુ કે, આ બ્રિજનો બીજો છેડો જે ચિંતામણી ફલેટથી આદર્શ રોડ તરફ જવાનો છે. તે પહેલાં હાલમાં ફાટક સામેનાં ત્રણ રસ્તાઓનાં સર્કલ પરથી નગરપાલિકા હસ્તકની જુની ભુગર્ભ ગટરની પાઈપ લાઈન પસાર થઈને કલેકટર કચેરી તરફ જાય તે તે તરફ અંદાજે 24 જેટલા પાઈલ (બ્રીજનાં પિલ્લર) બનાવવામાં આવનાર છે. અને તેની ડિઝાઈન હજુ આવી નથી. પરંતુ આ અંડરગ્રાઉન્ડ પાઈપ લાઈનનું શિફટીંગ જે તે વખતે થયું નથી. પરંતુ અત્યારે અમને એમ લાગે છે કે, આ લાઈન પર જ પાઈલ આવશે અને તેનું ડ્રીલીંગ સિસ્ટમથી પાઈલ નાંખતી વખતે આ ભુગર્ભ ગટર લાઈન ડેમેજ થવાની પુરેપુરી શક્યતા છે. આવું જ અગાઉ પાલિકા બજાર પાસે પણ પાઈપલાઈનમાં પાઈલ નાંખતાં નુકશાન થયુ હતું. તેવુ જ અહીં પણ થઈ શકે છે જેથી સમગ્ર વિસ્તારની ભુગર્ભ ગટરોનું તંત્ર ખોરવાઈ જાય તેમ છે. આથી પાઈપ લાઈનનું શિફટીંગ કરવું જરુરી છે. અને જયાં સુધી આ બાબતે જયુડીસી અને પાટણ નગરપાલિકા કોઈ નિર્ણય નહિ લે ત્યાં સુધી આ કામગીરી અટકી જાય તેવી સ્થિતિ છે.