
પાટણમાં જાળેશ્વર મહાદેવ મંદિરે પરંપરાગત ભવાઈમાં રામ-રાવણ યુધ્ધ ખેલાયું
પાટણ નજીક આવેલ પાલડી ગામનાં પ્રાચીન શ્રીજાળેશ્વર મહાદેવના સાનિધ્યમાં પાટણ તળ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહમણ સમાજના સાધન સંપન્ન 45 કુટુંબો દ્વારા અનંત ચૌદસ અને પૂનમની બપોર સુધી જાજરમાન દિપોત્સવ સમાન ભવાઈનો ઉત્સવ પરંપરાગત મુજબ ઉજવાયો હતો. જેમાં આજે ભવાઈના મુખ્યપાત્રો એવા રામ રાવણનું યુધ્ધ જોવા માટે મોટીસંખ્યામાં લોકો ઉમટી પડયા હતા.કહેવાય છે કે આ પરંપરાગત ભવાઈ ઉત્સવ થકી જાળેશ્વરદાદાને પ્રસન્ન કરવામાં આવે છે. તો મહાદેવના સાનિધ્યમાં અનંત ચૌદસની રાત્રીના નવ કલાકે ભવાઈ સાહિત્યને વાચા આપવા ભવાઈના વેશ જેવા કે, ગણપતિ, ઝંડોઝુલણ, અડવો, શરાણીયો, કાળકા, સહિતના વિવિધ પાત્રો દ્વારા પૂર્ણ રાત્રી દરમિયાન ભવાઈ વેશ યોજાયો હતો. ત્યારે આજે ભાદરવા સુદ પૂનમના દિવસે રામ-લક્ષ્મણ અને હનુમાન તેમજ રીંછ વાનરોની સેના સામે રાવણ અને ઈન્દ્રજીતના પાત્રોમાં સજજ કલાકારો વચ્ચે યુધ્ધ ખેલાયુ હતું અને બપોરના બાર કલાકે રામના હાથે રાવણનો વધ થતા ભવાઈવેશ સંપન્ન થયો હતો.
ત્યારબાદ સાંજે પરંપરાગત મુજબ જાળેશ્વર મહાદેવ દાદાની પાલખીયાત્રા સમગ્ર ગામમાં નીકળશે જેના દર્શનનો લાભ ભાવીક ભકતોએ લઈ આર્શીવાદ મેળવશે. આ ઉપરાંત મંદિર પરીસર સામે પરંપરાગત લોકમેળો યોજાયો હતો જેમાં લોકોએ મનભરીને મેળાની મજા માણી હતી.ઉલ્લેખનીય છે કે પાટણ તળ ઔદિચ્ય સહસ્ર બ્રાહ્મણો દ્વારા પાલડી જાળેશ્વર દાદાના સાંનિધ્યમાં વર્ષોથી પરંપરાગત ભવાઇ રમાડવામાં આવે છે. ત્યારે આ તીર્થના માહાત્મય પ્રમાણે જેમાનવઅનંત ચતુર્દશીનીરાત્રે અખંડ જાગરણ કરે છે તેની સર્વ મનોકામના પૂર્ણ થાય છે. અને તેથી જ આ અખંડ જાગરણના મનોરથને પૂર્ણ કરવાના હેતુસર ભવાઇ ઉત્સવ આ સ્થળે પરાપૂર્વથી ઉજવાય છે.