રાધનપુરના કામલપુર ગામે નકળંગ ભગવાનના મંદિરમાં તસ્કરો ત્રાટકયા
રખેવાળ ન્યુઝ રાધનપુર : રાધનપુર તાલુકાના કામલપુર ગામે નકળંગ ભાગવાનના મંદિરમાં બે તસ્કરો ત્રાટકયા હતા અને રામ અને લક્ષમણને ચડાવેલા રુ૧.૯૦ લાખના આભૂષણો ચોરી ગયા હતા. જાે કે તસ્કરો સીસીટીવીમાં કેદ થઇ ગયા હતા.મંદિરના પૂજારીએ નોંધાવેલી ફરિયાદ સંદર્ભે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બુધવારે વહેલી સવારે પૂજારી લાલદાસ જાનકીદાસ સાધુની દીકરી શ્રધ્ધા મંદિરમાં સફાઈ કરવા ગઈ ત્યારે મંદિરના મેઇન ગેટનું તાળું તૂટેલું જાેતાં ઘરે આવીને પુજારીને વાત કરતાં પૂજારીએ મંદિરના ટ્રસ્ટી કમાભાઈ ચૌધરીને અને માનાભાઇ કાળાભાઇ ચૌધરીને સાથે લઇ જઈને જાેતાં ભગવાન રામ અને લક્ષમણના ચાંદીના કુંડળ અને મુગટ,નંગ -૨, ધનુષ્ય નંગ -૨,સીતાજીને ગળામાં પહેરવાની ત્રણ તોલાની સોનાની કંઠી સહિતના આભૂષણો ગાયબ થયેલા જણાયા હતા. સોનાના ત્રણ તોલાના આભૂષણો રુ.૯૦ હજાર અને ચાંદીના ૫૦૦ ગ્રામ આભૂષણો રુ.૧ લાખ મળી તસ્કરો કુલ રુ.૧.૯૦ લાખના આભૂષણો ચોરી ગયા હતા. સીસીટીવી ચેક કરતાં બે તસ્કરો મંદિરનો વરંડો કૂદીને મંદિરનું મેઇન ગેટનું તાળું તોડીને અંદર પ્રવેશ્યા હતા.પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ પીએસઆઇ ભગવાનજી સોઢા ચલાવી રહ્યા છે.અગાઉ આઠ વર્ષ પહેલાં પણ આ જ મંદિરમાં ચોરી થઇ હતી.