એસ.પી. કચેરીમાં આત્મવિલોપનનો પ્રયાસ કરનાર પિતા-પુત્રનું મોત
પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીમાં સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કરનાર હારીજ તાલુકાના ખાખલ ગામના પરિવારના અન્ય બે સભ્યોનું શુક્રવારની મોડી રાત્રે સારવાર દરમિયાન અમદાવાદ ખાતે મોત નીપજયું હોવાની સૂત્રો તરફથી પૃષ્ટી થવા પામી છે. ગત સપ્તાહમાં પાટણ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે હારીજ તાલુકાના ખાખલ ગામના પરમાર પરિવારે સામૂહિક આત્મવિલોપનના પ્રયાસરૂપે સમૂહમાં ઝેરી દવા ગટગટાવી લેતા પરિવારના પાંચ સભ્યોને સારવાર અર્થે પાટણ ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બે દિવસની સારવાર દરમિયાન પરિવારના તમામ સભ્યોની હાલત નાજુક જણાતાં વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને એપોલો હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ગતરોજ પરિવારની ૧ર વર્ષની માસૂમ દીકરીનું સારવાર દરમિયાન કરૂણ મોત નિપજયું હતું. શુક્રવારની મોડી રાત્રે પરિવારના મોભી રેવાભાઇ અને તેમના પુત્ર પૂનમનં પણ સારવાર દરમિયાન મોત નિપજયુ હોવાનું પરિવારના સૂત્રોએ જણાવ્યું હતું. મૃતક બંને ઈસમની લાશને તેઓના માદરે વતન ખાખલ ગામે અંતિમવિધિ માટે લાવવામાં આવી રહ્યા હોવાનું તેમજ આ મામલે પોલીસ દ્વારા પણ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ગ્રામજનોમાં ઘેરા શોકની કાલીમા છવાઈ જવા પામી સામૂહિક આત્મહત્યાની કોશિષ કરનાર પરિવારના પાંચ સભ્યો પૈકી ગઈ કાલે ૧૨ વર્ષિય માસુમનું અમદાવાદ ખાતે સારવાર દરમિયાન મોત નિપજયાં બાદ શુક્રવારે રાત્રે વધુ બે સભ્યોમાં રેવાભાઈ અને તેમના પુત્ર પુનમનું પણ અમદાવાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતાં બન્ને મૃતકોની લાશને પોતાના માદરે વતન ખાખલ ગામે લાવવામાં આવી હતી. જ્યાં પોલીસ અને પરિવારજનોની ઉપસ્થિતિમાં અંતિમવિધિ કરવામાં આવી હતી. આ બનાવને પગલે ગ્રામજનોમાં ઘેરા શોકની કાલીમા છવાઈ જવા પામી હતી.
અન્ય સભ્યોની હાલત અતિ ગંભીર
હારીજ તાલુકાના ખાખલ ગામના એક જ પરિવારના પાંચ સભ્યોની સામૂહિક આત્મહત્યાના પ્રયાસમાં પરિવારના ત્રણ સભ્યોના મોતના પગલે સમગ્ર ખાખલ ગામમાં અને તેમના પરીવારજનોમાં ઘેરા શોકની કાલિમા છવાઈ જવા પામી છે. જાેકે પરિવારની બે માસુમ હાલમાં અમદાવાદ ખાતેની એપોલો હોસ્પિટલમાં સારવાર નીચે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી હોવાનું પણ પરિવારના સભ્યોએ જણાવ્યું હતું.