
પાટણમાં લોકોએ સોના-ચાંદીના દાગીના સહિત વેપારીઓએ શુભમુર્હુતમાં ચોપડાની ખરીદી કરી
સોના-ચાંદી તેમજ મિલ્કત સહિત વાહન અને અન્ય ચીજવસ્તુઓ ખરીદવાનો શુભ દિવસ એટલે પુષ્ય નક્ષત્ર.. શરદપૂર્ણિમા પછી અને દિપાવલીના પર્વ પૂર્વે ભારતીય કેલેન્ડર વર્ષ પ્રમાણે આવતા પુષ્ય નક્ષત્રનું વિશેષ મહત્વ રહેલું છે ત્યારે આજે શનિવારે પુષ્ય નક્ષત્રનો યોગ સર્જાતા પાટણમાં લોકોએ પોતાની યથાશકિત મુજબ સોના-ચાંદીના દાગીના સહિત વેપારીઓએ શુભમુર્હુતમાં ચોપડાની ખરીદી કરી હતી.ભારતીય સંસ્કૃતિમાં અમુક ચોકકસ દિવસોને અતિશુભ માનવામાં આવે છે. વર્ષ દરમ્યાન પુષ્ય નક્ષત્રનો દિવસ એ ખરીદી માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે ત્યારે દિપાવલીના પર્વ પૂર્વે આવતા ગુરુ અને રવિ પુષ્ય નક્ષત્રને ખરીદી માટે અતિ ઉત્તમ માનવામાં આવે છે. આ દિવસે સોના ચાંદીના ઘરેણા, જમીન, મિલ્કત કે વાહનની ખરીદી માટે તેને લોકો શુભ માને છે ત્યારે આજથી શરુ થયેલ પુષ્ય નક્ષત્રના યોગને લઈ પાટણ શહેરના ઝવેરી બજાર સહિત મુખ્ય બજારમાં આવેલ સોના ચાંદીના શો રુમ ઉપર મહિલાઓએ પોતાની યથાશિકત મુજબ દાગીના તેમજ ચાંદીની મૂર્તિઓ સહિત અન્ય ઘરેણાની ખરીદી કરી હતી.
તો શહેરની બજારોમાં લોકોએ પુષ્યનક્ષત્રમાં વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરી હતી. આ ઉપરાંત વેપારીઓએ પોતાના નવા ધંધા રોજગારની પ્રગતિ થાય તે માટે આ શુભમુર્હુતમાં ચોપડાઓની ખરીદી કરી હતી. ત્યારે આજે દિપાવલી પર્વ પહેલા શરુ થયેલ આ પુષ્યનક્ષત્રને લઈ પાટણના નગરજનો સહિત અન્ય લોકોએ લાખો રુપિયાના સોના ચાંદીના દાગીના સહિત વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરી હતી.