
હારીજમાં ઉદ્યોગપતિએ 8 કરોડની લોન ન ભરતાં ફેક્ટરીને સીલ કરાઈ
હારીજથી કુકરાણા રોડ ઉપર આવેલ પરમેશ્વરી ઈન્ડસ્ટ્રીઝના માલીકે ઈન્ડીયન બેન્ક પાસેથી ફેક્ટરી મોરગેજ મુકીને 8 કરોડ 83 લાખની લોન મેળવેલ હતી. જેની ભરપાઈ નહીં થતાં બેન્કે ફેક્ટરીને સીલ કરી દીધું હતું. હારીજ શહેરમાં કોટન ઈન્ડસ્ટ્રીઝના માલીકો દ્વારા અવાર નવાર મોટી લોનો મેળવી નહીં લોન નહીં ભરવાના બનાવો દિવસે દિવસે વધી રહ્યાં છે. ત્યારે કુકરાણા રોડ ઉપર આવેલ પરમેશ્વરી ઈન્ડસ્ટ્રીઝના માલીક પ્રકાશભાઈ સિંધવ અને ચિરાગભાઈ પ્રજાપતિ દ્વારા ઈન્ડીયન બેન્ક પાસેથી 8 કરોડ 83 લાખની લોન લઈ હપ્તા ભરપાઈ ન કરતાં બેન્ક દ્વારા એનપીએ કરવામાં આવી હતી.
છતાં માલીક દ્વારા લોનની ભરપાઈ નહીં કરતાં અને વ્યાજ સાથે 11 કરોડ 40 લાખનું ભારણ થતાં તે ભરપાઈ નહીં કરતાં ઈન્ડીયન બેન્કના જવાબદાર કર્મચારીઓ નિયમ મુજબ જિલ્લા કલેક્ટર પાસે પરમિશન લઈને હારીજ મામલતદાર અને પોલીસને સાથે લઈને કુકરાણા રોડ ઉપર આવેલ પરમેશ્વર ઈન્ડસ્ટ્રીઝને સીલ કરી સ્થળ પોઝિશન મેળવી મીલકતને બેન્કના કબજામાં લીધી હતી.