ગૌ સહાય મામલે રાધનપુર,વારાહી સજ્જડ બંધ જોવા મળ્યું
ગુજરાત સરકાર દ્વારા છ મહિના પહેલા ગૌશાળાઓ અને પાંજરાપોળોને પશુઓના નિભાવ માટે રૂ.500 કરોડ ફાળવવાની જાહેરાત કરી હતી,પરંતુ સરકાર દ્વારા આ પોષણ યોજનાનો અમલ ન થતાં ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો તેમજ ગૌસેવકો ઉગ્ર આંદોલનના માર્ગે છે.ત્યારે વિવિધ સંગઠનોના સહયોગથી રાધનપુર,વારાહી,સાંતલપુર અને સરસ્વતીના મેલુસણ ખાતે જડબેસલાક બંધ પાળવામાં આવ્યો હતો.જે બાબતે પાટણ ખાતે જીવદયા કાર્યકરો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી વિરોધ દર્શાવ્યો હતો.જેમાં બંધના પગલે વેપારી એસોશિયેશનની મિટિંગ મળી હતી અને તેમાં તમામ વેપારીઓ દ્વારા બંધને સમર્થન કરવામાં આવ્યું હતું.બીજીતરફ સાંતલપુરમાં પણ વેપારીઓ દ્વારા સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું. સરસ્વતી તાલુકાના મેલુસણ ખાતે પણ 500 જેટલી દુકાનો,હિરા કારખાના સહિત વેપાર ધંધા બંધ રાખીને સંપૂર્ણ ટેકો આપી સજ્જડ બંધ પાળી સમર્થન આપ્યું હતું.