
પાટણમાં પાણીની સમસ્યાને ધ્યાનમાં રાખીને પાલિકાએ વધુ પાણી ફાળવવા સરકારને પત્ર લખ્યો
પાટણ શહેર નો વિસ્તાર વધતા આગામી દિવસોમાં પાણી ની પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને પાટણ શહેરની પાણી પુરવઠા યોજના માટે નમૅદા કેનાલ ખોરસમ પાઈપ લાઈન ( સિધ્ધિ સરોવર) આધારીત યોજના માથી વધારાનું પાણી ફાળવવા પાટણ નગર પાલીકા દ્વારા ગુજરાત રાજ્યના નમૅદા જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના મંત્રી ને પત્ર લખી રજુઆત કરવામાં આવી હોવાનું પાલીકા પ્રમુખ સ્મિતાબેન પટેલ અને કારોબારી ચેરમેન અરવિંદભાઈ પટેલે જણાવ્યું હતું.
પાટણ નગર પાલીકા દ્વારા લખાયેલા પત્રમા જણાવ્યું છે કે પાટણ શહેરનો સમાવેશ અમૃત–2.0 યોજનામાં કરવામાં આવેલ છે. આ માટે મધ્યસ્થ સરકાર માંથી નાણાં ફાળવવામાં આવ્યા છે અને યોજનાના નકશા અને અંદાજો તૈયાર કરી જીયુડીએમમાં રજુ કરવામાં આવેલ છે.
પાટણ શહેરનો સમાવેશ નર્મદા માસ્ટર પ્લાન માટેના 131 શહેરોમાં કરવામાં આવેલ છે અને અત્યારે નર્મદા મેઈન કેનાલ માંથી પાણી ખોરસમ ખાતે ટેપ કરી સિંચાઈ વિભાગની પાઈપ લાઈન ધ્વારા પાટણ ખાતે સિધ્ધિ સરોવરમાં ઠાલવવામાં આવે છે. જેનો ઉપયોગ પાટણ તાલુકાના ગામડાઓ અને શહેર માટે કરવામાં આવે છે. હાલમાં 95 એમએલડી પાણીની ફાળવણી સામે ૭૨.૫૨ એમએલડી પાણીનો ઉપયોગ પાણી પુરવઠા બોર્ડ કરે છે અને આ પાણી પાટણ શહેર અને ગામડાઓને આપવામાં આવે છે. હજુ 22.48 એમએલડી પાણીની બચત છે. જે પાટણ શહેરને ફાળવવું જરૂરી છે. પાટણ જિલ્લો બનતાં પાટણનો વિકાસ ઘણો થયો છે. નજીકના ગામડાઓનો સમાવેશ પણ પાટણ નગર પાલીકા મા કરવામાં આવ્યો છે.
પાટણ શહેરની વસ્તીમાં પણ વધારો થયો છે ત્યારે પાણીની જરૂરીયાત ભવિષ્યની 4,48,000 જેટલી વસ્તી માટે 66.18 એમએલડી પાણી જરૂરી છે.મધ્યસ્થ સરકારે હવે ભુગર્ભ પાણી પર આધાર ન રાખતાં સરફેસ વોટર વાપરવાની સુચના આપી છે અને સરકાર પાણી પુરવઠા યોજનાઓ માટે સરફેસ વોટર ફાળવે છે. જેથી બચત પાણી ફાળવવામાં આવશે તો પણ પાણી પાટણ માટે પરત થશે નહી. લગભગ 30% જેટલું પાણી પાતાળ કુવાથી મેળવવું પડશે. આ માટે નગરપાલિકાએ આયોજન કરેલ છે અને પુરતાં પાતાળ કુવા કરેલ છે. જે ધ્યાનમાં લેતાં સિંચાઈ વિભાગ માંથી પાટણ શહેર માટે પાણી અનામત રાખવા માટે મંજુરી આપવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હોવાનું પાલીકા પ્રમુખ સ્મિતાબેન પટેલે અને કારોબારી ચેરમેન અરવિંદ ભાઈ પટેલે જણાવ્યું હતું.