રાધનપુરમાં લગ્નમાં આવેલાં આધેડને અદાવત રાખી બોથડ પદાર્થના ઘા માર્યા, 3 વિરૂધ્ધ ફરીયાદ
રાધનપુરમાં લગ્ન પ્રસંગે આવેલાં આધેડને અગાઉની અદાવતમાં બોથડ પદાર્થના માથાના ભાગે ઘા મરાયાની ઘટના સામે આવી છે. અગાઉ આધેડના ભાઇનો દીકરાએ પંથકના એક ગામની દીકરી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જે બાદમાં આધેડ પોતાના પરિવાર સાથે રાધનપુર લગ્નમાં આવતાં ઇસમોએ તેમને રીક્ષામાં બેસાડી લઇ જઇ માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારતાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. ઘટના બાદ આધેડના પત્નિએ બે લોકોના નામજોગ અને અન્ય એક અજાણ્યો શખ્સ મળી કુલ ત્રણ ઇસમ સામે રાધનપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
પાટણ જીલ્લાના રાધનપુરમાં ગત 4 માર્ચ 2021ના રોજ લગ્નમાં આવેલા આધેડ પર હુમલાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ વિરમગામ તાલુકાના કનીજડા ગામના ગણપતભાઇ મોહનભાઇ પરમાર ૪ માર્ચે રાધનપુર લગ્ન પ્રસંગે આવ્યા હતા. અગાઉ તેમના ભાઇના દીકરાએ સમી તાલુકાના ગામની દીકરી સાથે પ્રેમલગ્ન કર્યા હોઇ ઇસમો તેનું મનદુ:ખ રાખી યુવકને અગાઉ માર માર્યો હોઇ પોલીસ કેસ પણ કરવામાં આવ્યો હતો. આ તરફ યુવકના કાકા લગ્નમાં આવ્યા હોવાનું જાણી ઇસમોએ તેમને રીક્ષામાં લઇ જઇ બોથડ પદાર્થના ઘા માર્યા હોવાની ઘટના સામે આવી છે.
4 માર્ચે આધેડને બોથડ પદાર્થના ઘા મારતાં તેમને પ્રથમ રાધનપુર સરકારી હોસ્પિટલ બાદમાં અમદાવાદ ખસેડાયા હતા. જે બાદમાં તેઓ ભાનમાં આવતાં કહેલ કે, બબલુભાઇ ઉર્ફે ચંન્દ્રેશ સોમાભાઇ (કનીજ), બારોટ અજય સુરેશકુમાર (પાટડી) અને ભાભરના ચેમ્બુવાનો અજાણ્યો શખ્સ રીક્ષામાં બેસાડી રાધનપુરથી હાઇવે તરફ લઇ ગયા હતા. જ્યાં જાનથી મારી નાંખવાના ઇરાદે બોથડ પદાર્થના ઘા માથાના ભાગે ઘા મારતાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતાં વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હતા. ઘટનાને લઇ આધેડના પત્નિએ ત્રણ સામે રાધનપુર પોલીસ મથકે આઇપીસી 307, 326, 325, 323, 114 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધાવ્યો છે.