હેરિટેજ ચાંપાનેર ,ધોળાવીરા અને વડનગર માટે બજેટ ફાળવાયું પણ રાણકીવાવ બાકાત
રાજ્ય સરકારના અંદાજપત્રમાં વર્લ્ડ હેરિટેજ ચાંપાનેરના વિકાસ માટે રૂ.20 કરોડ ફાળવ્યા છે. આ જ રીતે કચ્છના ધોળાવીરા ખાતે વિકાસ માટે રૂ.5 કરોડનું બજેટ ફાળવ્યું છે. મહેસાણા જિલ્લાના વડનગર ખાતે રૂ.50 કરોડ બૌદ્ધ સંપદા સંવર્ધન અને પ્રેરણા તાલીમ કેન્દ્ર માટે ફાળવાયા છે પરંતુ રાણકી વાવને ફરી એકવાર રાજ્ય સરકાર દ્વારા અન્યાય કરવામાં આવ્યો છે.રાણકીવાવના વિકાસ માટે એક રૂપિયાનું પણ બજેટ ફાળવવામાં આવ્યું નથી.
પાટણ સાંસ્કૃતિક મંડળના મંત્રી આશુતોષ પાઠક અને કોર્પોરેટર ડો.નરેશ દવેએ જણાવ્યું કે રાણકીવાવ અને સહસ્ત્રલિંગ સરોવર સહિતના સ્થાપત્યોના વિકાસની જરૂર છે. અગાઉ રજૂઆતો પણ થયેલી છે. રાણકીવાવ હેરિટેજ વારસો થયા પછી સતત ભૌતિક સુવિધાની જરૂર વધી રહી છે,પરંતુ ધ્યાન અપાઈ રહ્યું નથી.રાજ્ય અને કેન્દ્ર સરકારે આ પરત્વે વિચારવું જોઈએ.
ભાષાભવનની અપેક્ષા ન ફળી
શિક્ષણ ક્ષેત્રમાં સંકળાયેલા લોકોએ જણાવ્યું કે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ભાષાભવન આપવામાં આવશે તેવી અપેક્ષા હતી કેમકે પાટણમાં શિક્ષણવિદો એ રાજ્યમંત્રી ડીંડોર સમક્ષ રજૂઆત કરી હતી અને તેમણે આશા આપી હતી પરંતુ તે પણ ફળી નથી.