પાટણમાં રેલ્વે ફાટક નં.41-એ પર રેલ્વે ઓવરબ્રીજનું કામ પૂર્ણ ન થાય ત્યા સુધી રસ્તો બંધ કરવામાં આવ્યો
પાટણ શહેરમાં હાલમાં રેલ્વે ફાટક નં.41-એ પર રેલ્વે ઓવરબ્રીજનું કામ ચાલી રહ્યુ છે. તેથી આ કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી તે રસ્તો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયના અનુસંધાને જિલ્લા કલેક્ટર સુપ્રિત સીંઘ ગુલાટી દ્વારા તા.01.10.2022 થી તા.30.09.2023 સુધી કેટલાક જાહેર રસ્તાઓનો ઉપયોગ કરવાનો આદેશ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યુ છે.
પાટણ જીલ્લા કલેક્ટર સુપ્રિત સીંઘ ગુલાટી દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ,1951 ની કલમ-33(1)(ખ) થી મળેલ સત્તાની રૂએ તા. 01.10.2022 થી તા.30.09.2023 સુધી કેટલાંક જાહેર રસ્તાઓનો ઉપયોગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જે અંતર્ગત શિહોરી તરફથી આવતા ભારે વાહનો સુજનીપુર-સબજેલ-ગોંકણેશ્વર મહાદેવ થઈને પાટણ શહેરમાં આવ-જા કરશે. ડીસા-કાકોશી તરફથી આવતા ભારે વાહનો શિહોરી ત્રણ રસ્તા થઈને ચોરમાપુરા-સુજનીપુર-સબજેલ-ગોંકણેશ્વર મહાદેવ થઈને પાટણ શહેરમાં આવ-જા કરશે. સિદ્ધપુર-ઉંઝા તરફથી આવતા ભારે વાહનો નવજીવન ચાર રસ્તા થઈને ઓવરબ્રીજ બાદ ડાબે રવેટા હોટલ થઈ અંડરબ્રીજ થઈને ગાયત્રી મંદિરથી પાટણમાં આવ-જા કરશે.
આ સાથે ચાણસ્મા-હારીજ તરફથી આવતા ભારે વાહનો પદ્મનાથ ચોકડી થઈ ઓવરબ્રીજ પાસેના સર્વિસ રોડ થઈને પાટણ શહેરમાં આવ-જા કરશે. ટુ વ્હિલર, થ્રી વ્હિલર અને ફોર વ્હિલર વાહનોમાં જે વાહનો શિહોરી-ડીસા-કાકોશી તરફથી આવે છે તેઓ હવેથી શિહોરી ત્રણ રસ્તા થઈ સરસ્વતી નદી ઓવરબ્રીજ પછી ડાબે વળી, બ્રીજ નીચે યુનિવર્સિટીના પાછળના ભાગે અંડરબ્રીજ થઈ ચિન્તામણી ફ્લેટ/પીતામ્બર પારેવા તળાવ થઈને પાટણ શહેરમાં પ્રવેશ કરશે.