પાટણ શહેર ખાતે ગીરીબાપુએ શિવભક્તોને કથાનું રસપાન કરાવ્યું
પાટણ શહેર અને આસપાસ વસતા શિવભક્તો માટે સૌપ્રથમવાર પ્રસિદ્ધ કથાકાર ગીરીબાપુની 9 દિવસીય શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં ભગવાન શિવના વિવિધ પ્રસંગોની ઉજવણીની સાથે ગીરી બાપુ દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે.
પાટણમાં હરિહર મહાદેવ મંદિર મિત્ર મંડળ દ્વારા શહેરના ટીબી ત્રણ રસ્તા પાસે આવેલા ઉપવન બંગલોઝ નજીક ગ્રાઉન્ડ ખાતે 19 માર્ચથી 27 માર્ચ દરમિયાન ગીરીબાપુના સાંનિધ્યમાં શિવકથા “શિવ મહાપુરાણ”નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ દિવસે વાજતે ગાજતે ઘોડાગાડી બગીમાં ભવ્ય પોથીયાત્રા નીકળી હતી.
ત્યારબાદ રોજ ગીરીબાપુ વ્યાસપીઠ પરથી શિવભક્તોને કથાનું રસપાન કરાવી રહ્યા છે. કથામાં ગીરી બાપુએ જણાવ્યું હતું કે બીજાને કથા સંભળાવવી તે પણ પુણ્યનું કામ છે. કોરોના કાળ બાદ હવે આટલી મોટી સંખ્યામાં કથાનું શ્રવણ કરાવવાનો લાભ મળ્યો છે.