
અંબે જય.. જય અંબેના નાદ સાથે પાટણથી અંબાજી ધામ તરફ મૈયાના રથડાઓ પ્રસ્થાન
શકિત,ભકિત અને પ્રકૃતિના ત્રિવેણી સંગમ સમા આરાસુરી જગતજનનીના ધામમાં પૂનમના મીની મહાકુંભ મેળાનો વિધીવત રીતે પ્રારંભ થયો છે. સાત દિવસીય આ મેળામાં ગુજરાત જ નહીં દેશભરના વિવિધ પ્રાંતોમાંથી લાખો શ્રધ્ધાળુઓ અને પદયાત્રીઓ જગદંબાના ચરણ પખાળવા અને નવરાત્રીમાં મુજ ગામ…મારે આંગણે પધારવાનું મૈયાને આમંત્રણ આપવા કઠીન યાત્રામાં જોડાયા છે.ત્યારે પાટણ શહેરના વિવિધ વિસ્તારો માંથી પગપાળાયાત્રા સંઘો પ્રસ્થાન કરતા સમગ્રમાર્ગો બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા હતા. શહેરના જળચોક વિસ્તારમાં આવેલ નીચામાઢ ખાતેથી જળચોક યુવક મંડળ દ્વારા સતત 24 માં વર્ષે પગપાળા સંઘનું ભવ્ય આયજન કરવામાં આવ્યું હતું. સંઘના પ્રસ્થાન પૂર્વે પદયાત્રીઓ તેમજ સ્થાનીક રહીશોએ મૈયાની દિવ્ય આરતી ઉતારી ધજાનેજાની પૂજાવિધી કરી મૈયાનો જયઘોષ કર્યો હતો. ત્યારબાદ સંઘમાં જોડાયેલા પદયાત્રિઓએ ગરબે રમી બોલ માડી અંબે જય જય અંબે ના નાદ સાથે પ્રસ્થાન થયા હતા.
શહેરના સોનીવાડા વિસ્તારમાં વાઘેશ્વરી માતાના મંદિર ખાતેથી વાઘેશ્વરી મિત્રમંડળ દ્વારા પગપાળા યાત્રા સંઘનું આયોજન કરવામાં આવ્યુ હતું. સંઘના પ્રસ્થાન પૂર્વે યજમાન સંઘવીના નિવાસસ્થાનેથી મૈયા ના ધજાપતાકાનું ભવ્ય સામૈયું કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ વાઘેશ્વરી માતાના મંદિર ખાતે ધ્વજાની વિશેષ પૂજાવિધી કરાઇ હતી. તો આ સંઘમાં જોડાયેલા પદયાત્રીઓએ વાઘેશ્વરી મૈયાની દિવ્ય આરતી ઉતારી માના આર્શીવાદ મેળવી જગવિખ્યાત માં અંબાને નવરાત્રીનું આમંત્રણ આપવા ધજાપતાકા સાથે જયઅંબેના જયઘોષથી અંબાજીના માર્ગોની વાટ પકડતા પાટણ શહેરના જાહેરમાર્ગો માં અંબાના બુલંદ અવાજથી ગુંજી ઉઠયા હતા અને પદયાત્રીઓ બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે માતાજીને શીશ નમાવવા હરખપદુડા બન્યા હોય તેમ હર્ષોલ્લાસભેર અંબાજી ખાતે પ્રસ્થાન કર્યું હતું.