
પાટણમાં ત્રાગડ સોની સમાજ દ્વારા આયોજીત બે દિવસીય ભવાઈમાં આજે રામ-રાવણનું યુદ્ધ યોજાયું
પાટણ શહેરના ધીવટા વિસ્તારમાં ત્રાગડ સોની ભવાઈ મંડળ દ્વારા છેલ્લા 400 વર્ષ ઉપરાંતના સમયગાળાથી ભવાઈ વેશનું કરવટુ પરંપરાગત મુજબ નિભાવવામાં આવે છે. જેના ભાગરુપે કારતક સુદ આઠમ એટલે કે, ગતરાત્રિથી બે દિવસીય ભવાઈ વેશનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં હાસ્યરસ અને વિવિધ વેશભૂષાના પાત્રો કલાકારો દ્વારા રજુ કરવામાં આવ્યાં હતા. જેને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ચોક ખાતે એકત્રિત થયા હતા.
પાટણ શહેરના ધીવટા વિસ્તારમાં ત્રાગડ સોની ભવાઈ મંડળ દ્વારા બહુચર માતાના પાવન સાનિધ્યમાં બે દિવસીય પારંપારીક ભવાઈ મંચનું ગતરોજ રાત્રિથી પ્રારંભ થયો હતો. જેમાં સમાજના કરવટા કુટુંબના ભવાઈ કલાકારો દ્વારા ગણપતિ, જુઠણ, ગોરખ, જોગણી, સિદ્ધરાજ સહિતના સુંદર વેશોની લોકો સમક્ષ ભવ્ય રજૂઆત કરાઈ હતી.ભવાઈના આજે બીજા દિવસે બપોરના સમયે રામ-રાવણની સેનાએ ઢોલના નાદ સાથે યુધ્ધનો પ્રારંભ કર્યો હતો. જ્યાં રામ-રાવણ વચ્ચે યુદ્ધ ખેલાયું હતું. ભવાઈ મંચનના અન્ય આયોજકો દ્વારા રાવણને ઉત્સાહીત કરવા માટે ગર્જના અને પડકારો કર્યા હતા. અંતે રામના હસ્તે રાવણનો વધ કરવામાં આવ્યો હતો.