
સિદ્ધપુરમાં ફેક્ટરીમાં નોકરીએ જવાનું કહીને નીકળેલો કિશોર ઘરે પરત ન આવતા પરિવારમાં ચિંતા, પિતાએ અપહરણની ફરિયાદ નોંધાવી
સિધ્ધપુર શહેરનાં બિંદુ સરોવર વિસ્તારમાં લક્ષ્મીનારાયણ મંદિર પાસે રહેતા અને મુળ ઇડરનાં વતની ગણેશભાઈ રમેશભાઇ સલાટનો 15 વર્ષનો કિશોર પરિવારને આર્થિક રીતે મદદરુપ થવા માટે સિધ્ધપુર ખળી ચાર રસ્તાથી ઊંઝા તરફનાં રોડ નજીક મંગલમૂર્તિ ઇસબગુલ ફેક્ટરીમાં નોકરી કરતો હતો. જેને તેનાં પિતા તા. 21-5-2023નાં રોજ સવારે સાડા સાતેક વાગ્યાનાં સુમારે ફેક્ટરીના ગેટ ઉપર ઉતારીને ગેસ પુરાવવા માટે સિધ્ધપુર તરફ આવ્યાં હતા.
કિશોર તેનાં નિત્યક્રમ મુજબ સાંજે છ વાગે ઘેર આવી જતો હતો પરંતુ ગઇકાલે તેમનો દિકરો સાંજે ઘેર નહીં આવતાં પરિવારે શોધખોળ કરી હતી. ફેક્ટરીનાં સી.સી. ટી.વી. તપાસવા માટે તા. 21મીની રાત્રે નવ વાગે ફેક્ટરીએ જઇને તપાસતાં તે કેમેરામાં ફેક્ટરીનાં દરવાજાથી સિધ્ધપુર ખળી ચાર રસ્તા બાજુ ચાલતો જોવા મળ્યો હતો. તે નોકરી પર કંપનીમાં ગયો નહોતો. તેની તપાસ કરતાં તે નહીં મળતાં પિતાએ તેનાં ગુમ થવા બાબતે ફરિયાદ નોંધાવી હતી.